Saturday June 21, 2025

પહેલી ધારની વાત

– નારન બારૈયા

[ Assassination: the Brutal Political Crime ]

એસેસિનેશન: રાજકારણમાં ગમે ત્યારે ગમે તે બની શકે…

નથુરામ ગોડસે નામના માણસે રાષ્ટ્રપિતા ગાંધીજીને પિસ્તોલની ગોળીઓથી ઓલવી નાખ્યા તે એસેસિનેશન હતું: ઇશુનું ક્રુસિફિકશન પણ એક એસેસિનેશન છે

ઇરાકના સરમુખત્યાર સદ્દામ હુસૈનને ફાંસી આપવામાં આવી, પણ સદ્દામના ચાહકો એમ કહે છે કે હકીકતમાં અમેરિકન સરકારના ઇશારે સદ્દામનુ એસેસિનેશન થયું હતું…

રાજકારણ એક એવો ધંધો છે કે એમાં પડતાં જ તમે જેનું કંઇ બગાડ્યું નથી અને ભવિષ્યમાં બગાડવાના પણ નથી એવા લોકો તમને દુશ્મન તરીકે તૈયાર ભાણે મળે છે

આ ખાઇ જવાનું રાજકારણ ખોઇ નાખવાની રમત સુધી પહોંચે છે. એટલે રાજકારણ એક ખતરનાક રમત છે: એસેસિનેશન દરેક રાજકારણી ઉપર ઝળુંબી રહેલું તોતીંગ ભેખડું છે.

નાના સ્તરે એટલે કે જીલ્લા-તાલુકા, ગામડા લેવલના રાજકારણમાં એવી અનેક હત્યાઓ થતી રહે જેમાં તે ઘટના એસેસિનેશન છે કે કેમ તેની ઓફિશ્યલ ખબર પણ પડતી નથી

પોરબંદરમાં ગેંગવોરના સમયમાં સરમણ મુંજાની હત્યા એ કોઈ સામાન્ય હત્યા નહોતી, તે વાસ્તવમાં એક એસેસિનેશન હતું: એસેસિનેશન માટે 302 સિવાયની કોઈ અલગ કલમ નથી

રાજકારણની દુનિયામાં આ તો રહેવાનું જ. પોરબંદર હોય કે પેશાવર, ભાવનગર હોય કે ભુજ, દિલ્હી હોય કે ઇસ્લામાબાદ – ભારત કે પાકિસ્તાન માટે એસેસિનેશન એ કોઈ નવી વાત નથી. ૨૭ ડિસેમ્બર- ૨૦૦૭ની સાંજે પાકિસ્તાનના રાવલપીંડી શહેરમાં બેનઝીર નામની એક બેનઝીર ઔરતને બોમ્બ ધડાકો અને ગોળીબાર કરીને ઉડાવી દીધી… ટીવી ચેનલો અને અખબારોની ફ્રન્ટલાઈનો હતી : Benazir assassinated… અથવા તો assassination of Benazir… વગેરે.
એસેસિનેશન શબ્દનો અર્થ છે : રાજકીય અથવા ધાર્મિક કારણોસર થયેલી હત્યા, કત્લ, કે વધ… અથવા તો રાજકીય કે ધાર્મિક વ્યક્તિની દગા-ફટકાથી થયેલી હત્યા એટલે એસેસિનેશન…
આવેશ-આવેગ, લેતી-દેતી, કૌટુંબિક કજીયા, અનૈતિક સંબંધો વગેરે કારણોસર થતી હત્યાઓ માત્ર કિલીંગ છે, મર્ડર છે… પણ રાજકીય કે ધાર્મિક વ્યક્તિ કે નેતાની હત્યા એ એક એસેસિનેશન છે.
એસેસિનેશન એ પાકિસ્તાનમાં ગમે ત્યારે ઘટતી ધટના છે. આઝાદીના ચાર વર્ષ બાદ ૧૬ ઓક્ટોબર ૧૯૫૧ ના રોજ બેનઝીરની જેમ જ રાવલપિંડીમાં એક પબ્લિક મિટીંગ માટે ગયા હતા તે દરમ્યાન એ વખતના પ્રાઇમ મિનિસ્ટર લિયાકત અલીખાનને તેમની છાતીમાં ગોળીઓ ધરબી દેવામાં આવી હતી. આઝાદી પછીનું પાકિસ્તાનનુ આ પ્રથમ બ્રોડ રેન્જ એસેસિનેશન હતું. પાકિસ્તાનના અન્ય બે શાસકોમાં ઝુલ્ફિકાર અલી ભુટ્ટોની ફાંસી (૪ એપ્રિલ- ૧૯૭૯) અને જનરલ ઝિયા-ઉલ-હકના પ્લેન ક્રેશ કિલીંગ (૧૭ ઓગસ્ટ ૧૯૮૮)ને પણ એસેસિનેશન ગણવામાં આવે છે.
પાકિસ્તાનની બાયપ્રોડક્ટ બાંગ્લાદેશના બે એસેસિનેશન ખુબ જાણીતા છે. ૧૫ ઓગસ્ટ- ૧૯૭૫ના રોજ શાસક શેખ મુજીબુર રહેમાનને તેના પરિવાર સમેત તેની પ્રેસિડેન્શિયલ રેસિડન્સીમા જ બાંગ્લાદેશના આર્મી ઓફિસરોના એક ગ્રુપે પતાવી દીધા હતા. બાંગ્લાદેશના આ પ્રકારના અન્ય એક એસેસિનેશનમાં તેમની આર્મીએ ૩૦ મે – ૧૯૮૧ના રોજ પ્રેસિડેન્ટ ઝિયુર રહેમાનને પણ પતાવી દીધા હતા.

આપણા પાડોશી દેશોની વાત થતી હોય તો શ્રીલંકાનું એક એસેસિનેશન પણ યાદ કરી લેવું જોઈએ. કોલંબોમાં તા. ૧-૫-૧૯૯૩ના રોજ અત્રેના પ્રેસિડેન્ટ રાણાસિધે પ્રમાદાસને એલટીટીઈએ સ્યુસાઈડ બોમ્બીંગમા પતાવી દીધા હતા. એક પોલિટિકલ રેલી દરમ્યાન આ એસેસિનેશન પાર પાડવામાં આવ્યું હતું.
ભારતે પણ હૈયાફાટ એસેસિનેશન જોયા-અનુભવ્યા છે. આઝાદીના થોડા જ મહિનાઓ બાદ ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ દિલ્હીની એક પ્રાર્થનાસભા વેળાએ નથુરામ ગોડસે નામના માણસે રાષ્ટ્રપિતા ગાંધીજીને પિસ્તોલની ગોળીઓથી ઓલવી નાખ્યા હતા. (ઓલવાતા પહેલા ગાંધીજી, કોન્ગ્રેસને જેની સામે વાંધો છે તે શ્રી રામનું નામ બોલ્યા હતા, એમ કહેવાય છે.) આ આઝાદી પછીનું અત્યાર સુધીનું સૌથી મોટું દિલધડક અને હૃદયદ્રાવક એસેસિનેશન છે.
જો કે ઈન્ડિયન એસેસિનેશનની વાત કરતા હોઈએ તો રાજીવ ગાંધી અને ઇન્દીરા જરૂર યાદ આવે. તારીખ ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ના રોજ “ઓપરેશન બ્લ્યુ સ્ટારના કારણે નવી દિલ્હીમા ઈન્દીરાને તેનાજ બોડીગાર્ડે ગોળીઓથી વીંધી નાખી હતી…

ઈન્દીરા ઉપર ગોળીઓ વછૂટી એને પરિણામે ભારતીય મતદારો (નાગરિક હોવુ એ પછીની વાત છે, રાજકારણમાં તમે પ્રથમ મતદાર છો.)ને કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર દયા વછૂટી… પરિણામે જનતાએ ઇન્દિરાનો વારસો રાજીવને આપ્યો. રાજીવને એક એવો વહેમ હતો કે સમયને પણ ધક્કો મારવો પડે છે, એના વગર તે આગળ વધતો નથી. એટલે તે હંમેશા કહેતો કે હું દેશને ૨૧મી સદીમાં લઈ જવા માગું છું. દરેક ભાષણમાં તે દેશને ૨૧મી સદીમાં લઈ જવાની વાત કરતો. દેશની જનતાને એમ હતું કે ૨૧મી સદીમાં તો શુંયે ચમત્કાર થશે? પણ તારીખ ૨૧ મે- ૧૯૯૧ના રોજ ચેન્નાઈ નજીક શ્રી પેરામ્બુદુર ખાતે એક સભામાં સુસાઈડ બોમ્બ એટેકથી રાજીવને ઓલવી નાખવામા આવ્યો… આજે એકવીસમી સદીમાં આપણને વળી એમ થાય કે રાજીવ ગાંધી જીવિત હોત તો કેવી સ્થિતિ હોત?!

જો કે એક ઊંડા અર્થમાં જોઈએ તો એસેસિનેશન માટે બોમ્બ એટેક કે હથિયારી હુમલો ફરજિયાત નથી. ઘણીવાર એસેસિનેશનનું બાહ્ય સ્વરૂપ કંઈક જુદું જ હોય છે.
કાયદો, સિદ્ધાંત, નિયમ, પરંપરા વિગેરેની આડશમા પણ એસેસિનેશન થઇ જતું હોય છે. દાખલા તરીકે ઓફિસિયલ લેંગ્વેજમાં એમ કહેવાય છે કે ઇરાકના સરમુખત્યાર સદ્દામ હુસૈનને ફાંસી આપવામાં આવી. પણ સદ્દામના ચાહકો એમ કહે છે કે હકીકતમાં કાયદાને આમા વૈશ્યાની જેમ વાપરવામાં આવ્યો છે. અને અમેરિકન સરકારના ઇશારે સદ્દામનુ એસેસિનેશન થયું છે… ભગવાન ઇશુનો વધ પણ આવુ જ ઉદાહરણ છે. સદીઓ પહેલા એક રાજ્ય દ્વારા અપાયેલ મૃત્યુ દંડ રિપોર્ટીંગની ભાષામાં કાયદેસરનું ક્રુસિફિકશન છે. પણ ઈશુના ચાહકોના ઈન્ટરવ્યુમા તે એસેસિનેશન છે.
જો કે ઈશુના સમયમા એસેસિનેશન શબ્દ હતો જ નહીં. આ શબ્દનું મૂળ રૂપ છે: એસેસીન. ફ્રેન્ચ અથવા મિડિયેવલ લેટિનમાંથી અંગ્રેજી ભાષામાં ૧૬મી સદીથી વપરાતા આ શબ્દનું મૂળ અને કૂળ એરેબિક ભાષામાં મળે છે. એરેબિક શબ્દ હસીસી (hasisi), જેનો અર્થ છે- hashish eater. ક્રુઝેડના સમયમાં એટલે કે ૧૨મી અને ૧૩મી સદીમાં નોર્થનૅ પર્સિયામા એક ખાસ અર્થમાં આ શબ્દ ઈસ્માઈલી મુસ્લિમોની નિઝારી શાખાના સંદર્ભે વપરાતો હતો. ફેનેટિકલ મુસ્લિમોની આ શાખાના લડવૈયાઓને ખ્રિસ્તી નેતાઓની હત્યા માટે મોકલતા પહેલા હશીશ પીવડાવવામાં આવતું હતું.
હશીશના નશામા તેઓને ખ્રિસ્તી નેતાઓની હત્યા કરવાનો અનોખો જુસ્સા મળતો હતો. આ પ્રકારે આવા હેતુથી હશીશ ખાનાર માટે એરેબિક ભાષામાં “હસીસી” શબ્દ હતો અને તેના પરથી ફ્રેન્ચ અથવા તો મિડિયેવલ લેટિન પરથી ૧૬મી સદીમાં assassin શબ્દ અંગ્રેજીમા આવ્યો હતો. આજે તમામ રાજકીય-ધાર્મિક હત્યા માટે આ શબ્દ વપરાય છે.
રાજકારણ એક એવો ધંધો છે કે એમાં પડતાંની સાથે જ તમે જેનું કંઇ જ બગાડ્યું નથી અને ભવિષ્યમાં બગાડવાનો ઇરાદો પણ નથી એવા લોકો તમને દુશ્મન તરીકે તૈયાર ભાણે પીરસાયેલા મળે છે. તમારે એને ખાવા હોય કે ન હોય, એ તો તમને ખાઇ જવા માગે જ છે. આ ખાઇ જવાનું રાજકારણ ખોઇ નાખવાની રમત સુધી પહોંચે છે. એટલે રાજકારણ એક ખતરનાક રમત છે. એસેસિનેશન દરેક રાજકારણી ઉપર ઝળુંબી રહેલું તોતીંગ ભેખડું છે.
એટલે સુરક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખર્ચાને બેફામ કહેનારા લોકો ભલે બેફામ બોલતા. આપણે નથી ઇચ્છતા કે મોદી મહાત્મા ગાંધી કે ઇન્દિરા ગાંધી સ્ટાઈલમાં અમર બને… લોકો તો કહેવાના…
રાજકારણમાં આ તો રહેવાનું જ…
આ તો ઉપલા સ્તરે થતા એસેસિનેશન્સની વાત થઇ. નાના સ્તરે એટલે કે જીલ્લા-તાલુકા, ગામડા લેવલના રાજકારણમાં એવી અનેક હત્યાઓ થતી રહે જેમાં તે ઘટના એસેસિનેશન છે કે કેમ તેની ઓફિશ્યલ ખબર પણ પડતી નથી. એટલે રાજકારણ એક ખતરનાક ધંધો છે. પોરબંદરમાં ગેંગવોરના સમયમાં સરમણ મુંજાની હત્યા એ કોઈ સામાન્ય હત્યા નહોતી, તે વાસ્તવમાં એક એસેસિનેશન હતું. એસેસિનેશન માટે 302 સિવાયની કોઈ અલગ કલમ નથી. કાયદામાં તો બસ હત્યા એટલે હત્યા પણ ભાષાના સ્તરે હત્યા હત્યામાં ફેર હોય છે. રાજકીય હેતુથી થયેલી હત્યા જ એસેસિનેશન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top