Saturday June 21, 2025

વાર્તા : ઝૂરાપો – ગિરીશ રઢુકિયા

                                                           દીપાનું મન આજે એક અજબ પ્રકારના ચકરાવે ચડ્યું હતું, આનંદ અને દુઃખના ભરતી ઓટ તેના ભીતરના ઘૂંઘવતા દરિયાની આજે દેન હતી. પોતાની મોટી દીકરી માનસી આજે કેનેડા જવા માટે રવાના થઈ ગઈ હતી. થોડા કલાક પહેલા જ અમદાવાદ એરપોર્ટથી તેની ફ્લાઇટ ટેક ઓફ થઈ હતી. દીકરીને

હેતભરી વિદાય આપી તે હમણાં જ ઘેર પહોંચી હતી અને આવીને પલંગમાં ઝુકાવ્યું હતું. માનસી ચાર વર્ષની અને નાની દીકરી રૂપલ બે વર્ષની હતી ત્યારે જ પોતાનો ચાંદલો ભૂંસાઈ ગયો હતો. ભરયુવાનીમાં પોતે વિધવા થઈ હતી. છેક ત્યારથી માંડી આજ લગી બન્ને દીકરીઓને મા અને બાપ બંનેનો પ્રેમ આપી પુરા લાડકોડથી ઉછેરી ભણાવી ગણાવી હતી. માનસીનું સપનું ડોક્ટર બનવાનું હતું તેથી ધોરણ ૧૨ તેણે સાયન્સમાં પાસ કર્યું હતું. નાની રૂપલ હજી દસમા ધોરણમાં હતી.
. મકાન પોતાનું હતું, પોતે આંગણવાડીમાં નોકરી કરતી હતી તેથી રૂપાને ઘર ચલાવવામાં ઝાઝી તકલીફ પડતી નહી. ભાઈ નરેશ અવારનવાર ખબર અંતર લેતો અને સારા નરસા પ્રસંગે આર્થિક મદદ પણ કરતો હતો પણ છ મહિના પહેલા જ તે એક અકસ્માતનો ભોગ બન્યો અને સ્વર્ગે સીધાવ્યો. તેના કારમા આઘાતમાંથી દીપા માંડ બહાર નીકળી હતી. મામાના આવા અણધાર્યા અવસાનની અસર માનસીના ધોરણ ૧૨ ના પરિણામ પર પણ પડી હતી.

. દીકરીને કેનેડા વળાવ્યા પછી આજે દીપા અંદરથી જાણે સાવ ખાલીખમ થઈ ગઈ હતી. માનસીનો જન્મ, ઉછેર, લડાવેલા લાડ, આપેલ ઠપકા, ઉજવેલ પ્રસંગો બધું એકીસાથે આજે તેના માનસ પર ચકરાવે ચડ્યું હતું. રાતના બાર વાગવા આવ્યા હતા, હોમવર્ક પૂરું થતા ઊભી થયેલી રૂપલે કહ્યું ” મમ્મી, તારે જમવાનું નથી? જોતો ખરી બાર વાગવા આવ્યા. “
” મને ભૂખ નથી. ” ” જમીશ નહી તો ઊંઘ કેવી રીતે આવશે? ” તેણે કોઇ જવાબ આપ્યો નહી. રૂપલ ઊંઘવા ગઈ. દીપા પાછી વિચારોના વહાણમાં સફર કરવા લાગી. આ વહાણ પોતાના શાળાજીવનના બંદરે જઈ ઉભું રહ્યું.

       સાતમા ધોરણમાં તેને પોતાની મોટી બહેન દામિનીની પાછળ પાછળ ખેડાના એક ગામની હોસ્ટેલમાં ભણવા મૂકી હતી. દશમા ધોરણમાં આવતા સુધીમાં તો તે અહીંની આબોહવામાં ભળી ગઈ હતી. જુદા જુદા પ્રદેશમાંથી હોસ્ટેલમાં રહેવા આવેલી વિદ્યાર્થીનીઓ, આજુબાજુના લોકો, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે તેણે અનુકૂલન સાંધી લીધું હતું. જે સોસાયટીમાં હોસ્ટેલ આવેલી હતી તે સોસાયટીમાં તો તે સૌની માનીતી બની ગઈ હતી.રજાના દિવસે સોસાયટીના લોકોના નાનામોટા કામ તે કરી આપતી. કોઇ બહેન બીમાર હોય તો તેમના ઘેર જઈ રસોઈ, વાસણ, કપડાં કરી આવતી.  આ બધી પ્રવૃત્તિ તેને પોતાના ઘરની યાદ આવવા દેતી નહી.

. બસ બરાબર આ રીતે જ એક દિવસ સોસાયટીમાં બીમાર પડેલા મોંઘીદાદીના ખબર અંતર પૂછવા તે ગઈ હતી. ત્યાં તેણે સાગરને પહેલવહેલા જોયો હતો અને બન્ને વચ્ચે પરિચય કેળવાયો હતો. સાગર મોંઘીદાદીનો પોત્ર હતો અને ફાઇનઆર્ટ્સ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. ચિત્રમાં નિપુણ હતો, તેના ચિત્રો અને વ્યક્તિત્વથી પોતે પ્રભાવિત થઈ ગઈ હતી. ત્યારબાદ તો અવાર નવારની મુલાકાતો ક્યારે પ્રણયમાં પરિણમી તેનોય ખ્યાલ એકબીજાને રહ્યો નહી. બન્ને નિયમિત મળવા લાગ્યા. એકબીજાને ભાવિ જીવનસાથી તરીકે જોવા લાગ્યા. સમય જતા સૌને તેમના આ સંબંધની જાણ થઈ. વાત છેક હોસ્ટેલના ટ્રસ્ટી શ્રી કેશવલાલ સુધી પહોંચી. કેશવલાલે દીપા પર નજર રાખવાની શરુ કરી અને એક દિવસ સાગરે લખેલો પ્રેમપત્ર દીપાની સૂટકેશમાંથી હાથ લાગ્યો. બીજા જ દિવસે તેમણે દીપાનું નામ હોસ્ટેલમાંથી રદબાતલ કરી દીધું. દીપા અગિયારમા ધોરણમાં હતી,બારમું સારા ટકાથી પાસ કરી તેને સાગરની પાછળ ફાઇનઆર્ટ્સ કોલેજમાં પ્રવેશ મેળવવો હતો. હોસ્ટેલમાંથી પ્રવેશ રદ થવાથી તે મુશ્કેલીમાં મુકાઈ. અભ્યાસ અધૂરો મુકાય તેમ હતું નહી, સાગરનો સાથ પણ છોડાય તેમ હતું નહી. અંતે તે નજીકના ગામ નાયકામાં પોતાના ફોઈને ત્યાં રહેવા ચાલી ગઈ અને ત્યાંથી અપડાઉન શરુ કર્યું. રોજ સવારે ૧૦ વાગ્યે તેઓ બસ સ્ટેન્ડ પર મળતા, સાથે બેસતા, ત્યારબાદ દીપા હાઈસ્કૂલમાં જતી અને સાગર કોલેજમાં. આ નિત્યક્રમ બની ગયો. રજાના દિવસે દીપા સાગરના ઘેર આવતી. તો ક્યારેક તેઓ ખેડા ફરવા જતા. સમય પસાર થયો, દીપા પોતાની બારમા ધોરણની પરીક્ષા આપી વતન ડાકોર ચાલી ગઈ. વેકેશનનો સમય હતો. દીપાના મોટા બહેન માટે મુરતિયો જોવાઈ ગયો હતો. બન્ને બહેનોના વિવાહ એક જ માંડવે કરવા એમ દીપાના પિતાજીએ નક્કી કર્યું હતું તેથી દીપા માટે પણ મુરતિયો જોવાની શરૂઆત થઈ ગઈ હતી, મોટી બહેને પોતાના દુરના થનાર દિયર પર દીપા માટે પસંદગી ઉતારી હતી પણ દીપાના મનમાં તો સાગર વસેલો હતો. તેથી બીજા સાથે લગ્ન કરવામાં તે નનૈયો ભરતી રહી, છેવટે પરિવારે દીપાની સગાઇ મોટી બહેનના દૂરના દિયર સાથે કરવાનું નક્કી કર્યું. દીપા આ વાત જાણીને સાનભાન ભૂલી ગઈ અને ડાકોરથી તે સીધી સાગરને મળવા ખેડા પહોંચી ગઈ, સાથે કોર્ટ મેરેજ માટે જરૂરી ડોક્યુમેન્ટ પણ તે લાવી હતી. સાગર ઘેર ન હતો, તે પોતાના બીમાર મમ્મીને લઈને અઠવાડિયા પહેલા જ અમદાવાદ સિવિલમાં આવી ગયો હતો જ્યાં સાગરના મમ્મીને દાખલ કરવામાં આવ્યા હતા, જીવન મરણ વચ્ચે તેઓ ઝોલા ખાઈ રહ્યા હતા. દીપાએ સિવિલના વોર્ડનો લેંડલાઇન નંબર મેળવી સાગરનો કોન્ટેક્ટ કર્યો અને પોતે તેની સાથે લગ્ન કરવા આવી છે તેમ જણાવ્યું પણ સાગર મજબુર હતો. માને આવી હાલતમાં મૂકીને આવી જવું તેને યોગ્ય લાગ્યું નહી. તેણે લગ્ન માટે દીપા પાસે થોડો સમય માંગ્યો, દીપા એક જ જીદ કરતી રહી કે તમે આવી જાવ. પણ સાગર આવી ના શક્યો. દીપા ડાકોર પરત ચાલી ગઈ. આ ઘટનાને બે મહિના પછી મમ્મીની તબિયત સારી થઈ જતા સાગર તેમને લઇ ઘેર આવ્યો.
સાંજે બજારમાં એક મિત્ર મળ્યો તેણે સમાચાર આપ્યા કે દીપાના લગ્ન થઈ ગયાં છે. સાગરના હૃદયમાં ધ્રાસકો પડ્યો. એ પછી સાગર અને દીપાએ ક્યારેય એકબીજાનો સંપર્ક ના કર્યો. દીપાના લગ્નનો આઘાત સાગર જીરવી શક્યો નહી. મહિનાઓ સુધી તે માનસિક અસ્વસ્થ હાલતમાં રહ્યો. ધીરે ધીરે સામાન્ય લાઈફમાં પાછો ફર્યો.
. મોટી બહેનના દિયર સાથે થયેલ લગ્ન શરૂઆતના થોડા મહિના સુખરૂપ લાગ્યું પણ થોડા મહિનામાં જ દીપાને ખબર પડી કે પરિવારે તેને ખોટી જગાએ પરણાવી દીધી છે. દીપાનો પતિ રોજ દારૂનું સેવન કરતો, સાંજે ઘેર આવ્યા બાદ દીપા સાથે ઝગડા કરતો તેને માર મારતો. દીપા આ બધું મૂંગા મોએ સહન કરતી. આવા લગ્નજીવનના ચાર વર્ષમાં દીપાએ ક્રમશ બે બાળકીને જન્મ આપ્યો માનસી અને રૂપલ. લગ્નજીવનના ચોથા વર્ષે વિધવા બનેલી યુવાન દીપાએ ક્યારેય પોતાના ચારિત્ર્ય પર દાગ પડવા ના દીધો. ના તો બીજા લગ્ન કર્યા.

. વિસ વર્ષ પહેલા વિખુટા પડેલા સાગરનો અચાનક ડાકોરમાં તેને ભેટો થયો અને એ પણ રણછોડરાયજીના મંદિરમાં. બન્ને દર્શન માટે આવ્યા હતા. વિસ વર્ષમાં બંનેના શરીરની અવસ્થા બદલાઈ ગઈ હતી. માથામાં આછી સેફદી અને ચહેરા પર પાતળી કરચલીઓ. સાગરને જોતા જ દીપાની આંખમાંથી ગંગા જમના વહેવા લાગી. દીપાને આ હાલતમાં જોઈ સાગર પણ ઉદાસ થઈ ગયો. દર્શન કર્યા બાદ બન્ને ગોમતીને કિનારે એક બેઠક પર બેઠાં અને ધરાઈને વાતો કરી. વાત દરમ્યાન દીપાને જાણ થઈ કે સાગરના લગ્ન થઈ ગયાં છે અને તે બાર વર્ષના એક દીકરાનો પિતા છે. અમદાવાદમાં સેટલ થયો છે.

. મુલાકાતના બીજા જ દિવસે માનસીનો જન્મદિવસ હતો. દીપાએ સાગરને પોતાને ત્યાં તેડાવ્યો. બન્ને માનસીને લઈને માર્કેટમાં ગયાં. માનસીની માંગણીઓ મુજબની ગિફ્ટ ખરીદી અને ધામધૂમથી માનસીનો બર્થ ડે ઉજવ્યો. સાગર અમદાવાદ આવી ગયો.

. માનસીને કેનેડા જવામાં અઠવાડિયાની વાર હતી. દીપાને સાગરની ખૂબ યાદ આવી રહી હતી. તેને એમ હતું કે આ પ્રસંગે સાગર તેની સાથે હોય તો સારુ.
ઈશ્વરે દીપાની આ વાત પણ સાંભળી લીધી. સાગરને જરૂરી કામથી ડાકોર આવવાનું બન્યું. કામ પતાવી તે સીધો જ દીપાના ઘેર ગયો. દીપાની ખુશીનો પાર ના રહ્યો. માનસીને જરૂરી સલાહ સૂચન આપી, કોઇ મદદની જરૂર હોય તો કહેવા જણાવી સાગર દિવસ આખો તેઓની સાથે રહ્યો. રાત રોકાવાની ઈચ્છા હોવા છતાં રોકાવું યોગ્ય ના લાગતા સાગર અમદાવાદ રવાના થઈ ગયો. ફરી પાછો ઝૂરાપો દીપાને ઘેરી વળ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top