
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫
ખંભાળિયા શહેરમાં વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે નગરપાલિકાના તત્કાલીન કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે.
ખંભાળિયા નગરપાલિકાની એમ્બ્યુલન્સમાં એક પણ ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા નથી. અગાઉ ત્રણમાં હતી. હાલ એક પણ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ન હોવાથી ઇમર્જન્સીમાં દર્દીને અન્ય સ્થળે લઈ જવા માટે હાલાકી પડતી હોય, એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરવાની રજૂઆત કરવામાં આવી છે.
ખંભાળિયા શહેરમાં પ્રવેશતા વખતે આવતા રેલવે ફાટકથી રેલવે સ્ટેશન સુધી જ્યાં રેલવેની હદ નથી આવતી, ત્યાં નવા રસ્તા બનાવવા અથવા જુના રસ્તા રીપેરીંગ કરવા, નગરપાલિકાને ફાળવવામાં આવેલી રસ્તા રીપેરીંગ ગ્રાન્ટમાંથી તાકીદે કામો કરવા, નગરપાલિકાના બગીચામાં નવા સાધનો માટે ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની ગ્રાન્ટમાંથી સાધનો વસાવવા, નગરપાલિકાના તમામ વોર્ડમાં જ્યાં લાંબા સમયથી રસ્તા બન્યા નથી ત્યાં નવા રસ્તાઓ બનાવવાનું વહેલી તકે આયોજન કરવા રજૂઆત કરવામાં આવી છે.
નગરપાલિકા શહેરમાં કરોડો રૂપિયાની નલ સે જલ તથા જિલ્લા કક્ષાનું કરોડો રૂપિયાનું ફાયર સ્ટેશન મંજૂર થઈ ગયું હોય, તેનું ખાત મુહૂર્ત કરી અને શરૂ કરવા, નગરપાલિકાનું જોધપુર ગેઈટ પાસે આવેલા દવાખાનું નવું બનાવવામાં આવેલું બિલ્ડીંગ કે જે હાલ લાંબા સમયથી ધૂળ ખાઈ રહ્યું છે, અહીં આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી અને શહેરીજનોને આરોગ્યની સુવિધા પ્રાપ્ત કરાવવા પણ રજૂઆત કરવામાં આવી છે.
શહેરના લાખો રૂપિયાના ખર્ચે બનેલી ફૂટપાથો પર દબાણો હટાવીને લોકોને ચાલવા માટેની જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે પણ માંગ કરવામાં આવી છે.