Saturday June 21, 2025

નરારા પોર્ટ પાસે ઇંધણ પાઇપલાઈનમાં આગ અને વિસ્ફોટ: દુર્ઘટનામાં બચાવ કામગીરી અંગેની સતર્કતાની ચકાસણી કરાઈ

– જિલ્લા વહીવટી તંત્ર અને નયારા એનર્જીના સયુંકત ઉપક્રમે મોકડ્રિલ યોજાઈ – 

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૪-૨૦૨૫

       ખંભાળિયા-જામનગર માર્ગ પર નરારા પોર્ટ પાસે ઈંધણની પાઇપલાઇનમાં આગ અને વિસ્ફોટ થવાની દુર્ઘટનામાં બચાવ કામગીરી અંગેની સતર્કતા ચકાસણી કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને નયારા એનર્જીના સયુંકત ઉપક્રમે આજરોજ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરક્ષા વ્યવસ્થા સાથે સંકડાયેલા સમગ્ર તંત્રની સતર્કતાની ચકાસણી કરવામાં આવી હતી.

        નયારા એનર્જીના સહયોગથી યોજાયેલી આ મોકડ્રિલમાં નરારા નજીક આવેલી ઇંધણ પાઇપલાઇનમાં સમારકામ કામગીરી દરમિયાન આગ અને ત્યારબાદ વિસ્ફોટ થવો અને તેમાં ત્રણ કર્મચારીને ઇજા થયાની ઘટનાને આકાર આપવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ કંપની અને વિભાગમાંથી ઓબઝર્વર તરીકે જોડાયેલા અધિકારીઓએ મોકડ્રિલ દરમિયાન કરાયેલી ત્વરિત કામગીરીની નોંધ લઇ, તે અંગે સૌને અવગત કરાવ્યા હતા. ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે સાવચેતી માટે સૌ કોઈએ સાથે મળીને તેમાં કઈ રીતે શ્રેષ્ઠ બચાવ કાર્ય કરી શકાય તેની માહિતીની આપ-લે કરી હતી.

          મોકડ્રિલમાં નાયબ કલેક્ટર રિધ્ધિ રાજ્યગુરુ, અહીંના મામલતદાર વિક્રમ વરુ, મામલતદાર વિશાલ પટેલ, તાલુકા વિકાસ અધિકારી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ વિભાગ, વન વિભાગ, ફેક્ટરી ઇન્સ્પેક્શન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ સહિતના વિભાગોના અધિકારીઓએ ઉપસ્થિત રહી, આ મોકડ્રિલનું નિરીક્ષણ કર્યું હતું.

        આ મોકડ્રિલમાં નયારા એનર્જીના રિફાઇનરી હેડ અમર કુમાર, કેપ્ટન આલોકકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતા. મોકડ્રિલ દરમિયાન મ્યુચ્યુલ એઈડ સ્કીમના ભાગીદાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, દિનદયાળ પોર્ટ ઓથોરિટી, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, દિગ્વિજય સિમેન્ટ કંપની, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ, ગુજરાત ગેસ વિગેરેના અધિકારી, ફાયર વિભાગ, એમ્બ્યુલન્સ સ્ટાફ જોડાયો હતો અને દુર્ઘટના સમયે કઈ પ્રકારની કાર્યવાહી કરી શકાય તે મોકડ્રિલમાં પ્રદર્શિત કરી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top