
જામ ખંભાળિયા, તા. ૦૨-૧૧-૨૦૨૫
રાજ્યમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા આસામીઓની વિવિધ માંગણીઓને અનુલક્ષીને શનિવારથી સમગ્ર રાજ્યમાં હડતાલ આંદોલન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના પણ સસ્તા અનાજના દુકાનદારો જોડાયા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ઉપરાંત ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર મળી તમામ ચાર તાલુકાઓમાં વ્યાજબી ભાવની દુકાન ધરાવતા આસામીઓએ તેઓની કમિશન વધારા સહિતની જુદી જુદી 20 માંગણીઓને અનુલક્ષીને રાજ્યના એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલા આંદોલનને ટેકો આપી અને પહેલી નવેમ્બરથી આ હડતાલમાં જોડાયા હતા. તેઓએ સસ્તા અનાજનું વિતરણ ન કરવા તેમજ અનાજનો જથ્થો ન ઉપાડવાનું નક્કી કરી અને વિવિધ મુદ્દે અહીંના ડી.એસ.ઓ.ને લેખિત આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
રાજ્યના સસ્તા અનાજના દુકાનદારોની માંગણીઓ જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી રાજ્યવ્યાપી આંદોલનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પણ એફ.પી.એસ. દુકાનદારો જોડાશે તેમ પણ જણાવાયું છે.

(ફોટો:- કુંજન રાડિયા)
