ખંભાળિયા તાલુકાના ખેડૂતોને નુકસાની વળતર સાથે પશુઓ માટેની સહાય ચૂકવવા પણ રજૂઆત
જામ ખંભાળિયા, તા. ૦૩-૧૧-૨૦૨૫
ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં વરસી ગયેલા કમોસમી માવઠાથી ઠેર ઠેર હાલાકીભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને ખેતરોમાં ઊભા મોલ ધોવાઈ જતા ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
ખંભાળિયા તાલુકાના કોલવા સહિતના ગામોમાં મગફળી ઉપરાંત લીલો ચારો, જુવાર, મકાઈ વિગેરે પાકનો આ કમોસમી વરસાદના કારણે સોથ વળી ગયો છે. જેના કારણે ખેડૂતોને નુકસાની થવા ઉપરાંત પશુઓ પણ કફોડી હાલતમાં મુકાઈ રહ્યા છે. આ માવઠાના કારણે પશુ ખોરાક માટેના ઘાસચારા વિગેરેને નુકસાની થતા ખેડૂતો સાથે માલધારીઓને પણ નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.
આ મુદ્દે અહીંના સામાજિક કાર્યકર અને એડવોકેટ દવુભાઈ ચાવડાએ મુખ્યમંત્રી તેમજ કૃષિ મંત્રીને એક લેખિત પત્ર પાઠવી અને પશુઓના ચારા માટે તાત્કાલિક ધોરણે સૂકું ઘાસ અને ઘાસની ગાંસળીઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે તેવી રજૂઆત કરી છે.
આ ઉપરાંત કમોસમી વરસાદના કારણે સૂકોચારો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ હોય, જેથી પશુઓના ચારા માટે પશુઓ દીઠ અલગથી રોકડ સહાય ચૂકવવા પણ માંગ કરવામાં આવી છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)
