જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫
ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ એવા દ્વારકા યાત્રાધામનો વિકાસ કરવા આગામી સમયમાં કોરીડોર પ્રોજેકટની શરૂઆત થશે. જેમાં ત્રણ તબક્કે વિકાસ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં જગત મંદિરથી રૂક્ષ્મણી મંદિર સુધીના પ્રસ્તાવિત માર્ગનો વિકાસ કરાશે. જેમાં રૂ. 138 કરોડના ખર્ચે સમુદ્રની અંદર ડૂબી ગયેલી જૂની દ્વારકા નગરીની ઝલક નિહાળી શકાય તે માટેની વ્યુઈંગ ગેલેરી સહિતનો વિકાસ કરાશે.
બીજા તબકકામાં બેટ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરથી હનુમાન દાંડી ધામ સુધીના રસ્તાને પહોળો બનાવી વિકાસ હાથ ધરવામાં આવશે. ત્રીજા તબકકામાં દ્વારકાથી 16 કિમી દૂર આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગથી ગોપી તળાવ તીર્થધામ સુધીના વિસ્તારનો વિકાસ કરાશે. આ ઉપરાંત કોરીડોર પ્રોજેકટ અંતર્ગત 108 ફૂટ ઊંચી ભગવાન શ્રીકૃષ્ણ વિશ્વની સૌથી ઊંચી મૂર્તિનું નિર્માણ કરવામાં આવનાર છે.
આ કોરોડોરમાં વોક વે, વોલ પેઈન્ટીંગ, ભોજન શાળા, ઈકો ટુરીઝમ, વોટર સ્પોર્ટસ, મરીન ઈન્ટરપ્રીટેશન સેન્ટર, લેક ફ્રન્ટ, ડોલ્ફીન વ્યુઈંગ ગેલેરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે.

(કુંજન રાડિયા)