


–
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૫
ખંભાળિયાના જાણીતા પૂ. જલારામ બાપાના મંદિર ખાતે કાર્યરત અન્ન ક્ષેત્રના પ્રમુખ ધીરેનભાઈ બદીયાણી નિવૃત્ત થતા આગામી સમય માટે પ્રમુખ તરીકે ભાવેશભાઈ વિઠલાણી, ઉપપ્રમુખ તરીકે હિતેન વિઠલાણી, સેક્રેટરી તરીકે મનીષ પાબારી તેમજ ટ્રેઝરર તરીકે રાજ પાબારીની વરણી કરવામાં આવી છે.
શહેરના સુપ્રસિદ્ધ પૂ. જલારામ બાપાના આ મંદિર ખાતે દરરોજ બપોરે નાત જાતના ભેદભાવ વગર ભોજન, પ્રાર્થનાસભા માટે વિશાળ હોલ, દરે રવિવારે ટોકન દરે આયુર્વેદિક ઔષધાલય, તેમજ શહેરની અન્ય સેવા સંસ્થાઓ દ્વારા વિના મૂલ્યે અનેક સુવિધાઓ માટેના કેમ્પનું આયોજન અહીં કરવામાં આવે છે.
સવારે અને સાંજે ભક્તિસભર આરતી, પરિક્રમા અને દર્શનનો વિશાળ સંખ્યામાં ભક્તો લાભ લઇ, ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે નવા વરાયેલા પ્રમુખ તેમજ તેઓની ટીમ દ્વારા આગામી દિવસોમાં પણ સેવા કાર્યોની જ્યોત અવિરત રીતે જલાવી રાખી, લોકોને સહાયભૂત થવાની ખાતરી આપી હતી. નવા વરાયેલા હોદ્દેદારોને સૌ કોઈએ આવકારીને શુભેચ્છાઓ પાઠવી હતી.