
– શહેરને ખાડા મુક્ત કરવા પાલિકા તંત્ર સમક્ષ માંગ –
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૫
ખંભાળિયા શહેરના નગરજનોને કનડતા વિવિધ પ્રશ્નો તેમજ મહત્વની પાયાની જરૂરિયાતો સંદર્ભે અહીંની બિન રાજકીય અને સેવાભાવી વ્યક્તિઓ સાથેની નાગરિક સમિતિ દ્વારા સંબંધિત તંત્રને લેખિત રજૂઆતો કરવામાં આવી છે.
ખંભાળિયા શહેરમાં આવેલા વિવિધ રાજમાર્ગોમાં ઠેર-ઠેર ખાડા ખડબા આવેલા છે. વર્ષો પહેલા અહીં બનાવવામાં આવેલી ભુગર્ભ ગટરના ખુલ્લા તેમજ તૂટેલા ઢાંકણાઓના કારણે નાના-મોટા અકસ્માતના બનાવ અવારનવાર બને છે. રસ્તાથી ઉંચી લેવલના બનેલા ગટરના મેન હોલ ઉપરાંત એક રસ્તાને જોડતા બીજા રસ્તા વચ્ચેની અસમાનતા તેમજ જગ્યાના કારણે વાહન ચાલકોને થતી હાલાકી, જુદા જુદા વિસ્તારોમાં તૂટેલા કે વધુ પડતી ઉંચાઈ ધરાવતા સ્પીડ બ્રેકરના કારણે હાલ શહેરના રસ્તા મોટાભાગના રસ્તાઓ ચાલવા તેમજ વાહન ચલાવવાને યોગ્ય જણાતા નથી.
અહીં નાના બાળકો, વૃદ્ધો તેમજ બીમાર અને અશક્ત લોકો તથા પ્રસૂતાઓ માટે આ રસ્તાઓ જોખમી બની રહ્યા હોય, જે અંગેની સમસ્યાનું તાકીદે નિવારણ લાવવા નાગરિક સમિતિ દ્વારા નગરપાલિકા તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
ખંભાળિયા શહેરના મ્યુનિસિપલ ગાર્ડન ખાતે ઘણા સમય પહેલા તૈયાર કરવામાં આવેલો સ્વિમિંગ પૂલ હાલ બંધ હાલતમાં છે. ટેન્ડર પ્રક્રિયા સહિતના વિવિધ મુદ્દે બંધ રહેલા આ સ્વિમિંગ પૂલનું મેન્ટેનન્સ નિયમિત ન થાય તો પુલમાં ટાઇલ્સ બગડી જાય તેવી સંભાવના વચ્ચે લોકોને આ મહત્વની સુવિધા ન મળી રહેતા તંત્ર દ્વારા તાકીદે યોગ્ય કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.
દ્વારકા – અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનનો લાભ ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારને મળે તે હેતુથી અહીંથી પસાર થતી આ વંદે ભારત ટ્રેનનો સ્ટોપ ખંભાળિયામાં આપવામાં આવે તો અમદાવાદ આવવા-જવા માટે વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓને ફાયદો તેમજ સુવિધા મળી રહે તે હેતુથી અહીંના વંદે ભારત ટ્રેનના સ્ટોપ માટેની માંગ કરવામાં આવી છે.
ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપર આવેલા ટાઉન હોલના ઉપરના માળે ફાયર એન.ઓ.સી. ન હોવાથી આ સેવા લોકો માટે હાલ બંધ છે. ઉપરાંત વિવિધ મુદ્દે આ ટાઉનહોલનું મેનેજમેન્ટ સંભાળી શકે તેવા કોન્ટ્રાક્ટર આસામી પાલિકાને ન મળતા આ ટાઉનહોલનો ઉપરનો માળ શોભાના ગાંઠિયા જેવી હાલતમાં હોય, આ મુદ્દે નિવારણ લાવવા સત્તાધીશો સમક્ષ નાગરિક સમિતિએ રજૂઆત કરી છે.
____________________________________________________________________________