જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૫
ખંભાળિયામાં જામનગર ધોરીમાર્ગ પર આવેલી માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તા. 9 ફેબ્રુઆરીના રોજ સવારે 9 થી 11:30 વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર, દવા વિતરણ તેમજ શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મૂળ ગોસા (તા. પોરબંદર)ના વતની અને હાલ યુ.કે. સ્થિત સ્વ. અમૃતબેન લીલાધરભાઈ સવજીભાઈ ચુડાસમા પરિવારના આર્થિક સહયોગથી યોજવામાં આવેલા આ કેમ્પમાં રાજકોટની જાણીતી રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલના નિષ્ણાત તબીબો તેમજ ટેક્નીશીયનો દર્દીઓને સ્થળ તપાસીને જરૂરી સારવાર તેમજ દવાઓ આપશે. જરૂરિયાતવાળા દર્દીઓને રાજકોટ લઈ જઈ અને નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન પણ કરી આપવામાં આવશે.
આ કેમ્પનો લાભ લેવા ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારના નેત્ર દર્દીઓને સંસ્થાના પ્રમુખ ધીરેનભાઈ બદીયાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)