Saturday June 21, 2025

ખંભાળિયામાં ઉતરાયણ પર્વે પક્ષી સુરક્ષા, સેવામાં એન.સી.સી. કેડેટ્સ જોડાયા

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૧-૨૦૨૫

     ઉતરાયણ પર્વ દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાતા પક્ષી બચાવો અભિયાનમાં ખંભાળિયાની શાળાના એન.સી.સી કેડેટ્સ પણ જોડાયા છે.
    હાલ ઉતરાયણના પર્વ દરમ્યાન દર વર્ષે પતંગોત્સવને લીધે ઘાયલ થતા પક્ષીઓ માટે ગુજરાત સરકાર દ્વારા 10 જાન્યુઆરી થી 20 જાન્યુઆરી સુધી ખાસ કરુણા અભિયાન ચલાવાય છે. ત્યારે ખંભાળિયાની વી.એચ. એન્ડ વી.એચ. હાઇસ્કૂલના એન.સી.સી. કેડેટ્સ દ્વારા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પક્ષી બચાવો અભિયાનમાં જોડાઈ અને જનજાગૃતિ દ્વારા માનવતા દાખવવાની પહેલ કરાઈ છે.
  પ્રવર્તમાન યુગમાં સોશિયલ મીડિયાની અસરકારકતા વધુ હોય જેને ધ્યાને રાખીને ઉક્ત શાળાના આચાર્ય કલ્પેશભાઈ ગોકાણી, એન.સી.સી. એ.એન.ઓ. નીતિનભાઈ નંદાણીયા અને એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ ભાણવડના અશોકભાઈ ભટ્ટ દ્વારા શાળાના એન.સી.સી. કેડેટ્સ અને વન વિભાગના કર્મચારીઓને સાથે રાખીને એક પ્રોમો વિડિયો તૈયાર કરવામાં આવ્યો છે.જેમાં ઉતરાયણ દરમ્યાન પક્ષીઓ ઘાયલ ના થાય, વળી કોઈ અકસ્માતે પક્ષીઓ ઘાયલ થાય તો શું કરવું અને શું ના કરવું જેવી બાબતે આકર્ષક રીતે દર્શાવી, સરકાર દ્વારા ચાલતા આ પક્ષી બચાવો અભિયાનમાં જોડાઈ અબોલ જીવો પ્રત્યે માનવતા એ જ સાચો માનવધર્મ ઉકિતને સાર્થક કરી છે.
     અત્રે ઉલ્લેખનીય છે કે, આ જાહેર કરાયેલ વીડિયોમાં ગુજરાત સરકારના વન વિભાગ પક્ષી બચાવો હેલ્પ લાઇન અને દ્વારકા જિલ્લાના પક્ષી બચાવ ટીમ હેલ્પ લાઇન નંબર પર ઉમેરાયા છે. જેથી આ જિલ્લામાં આ જીવદયાના કાર્યને વધુ વેગ મળી રહે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top