કુંજન રાડિયા, જામ ખંભાળિયા
ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા શ્રી જલારામ અન્નપુર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે તાજેતરમાં અત્રે બેઠક રોડ ઉપર આવેલી નવી લોહાણા મહાજન વાડી ખાતે વિના મુલ્યે એક્યુપ્રેશર તેમજ નિદાન કેમ્પ તથા રાશનકાર્ડ ઈ-કે.વાય.સી.ની કામગીરી સાથેના કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
લંડન સ્થિત જયેન્દ્રભાઈ હિન્ડોચાના આર્થિક સહયોગથી યોજવામાં આવેલા આ કેમ્પમાં રાજકોટના સર્વ હિત એક્યુપ્રેશર સેન્ટરના પ્રબંધક મધુબેન જોષી તેમજ તેમની ટીમ દ્વારા શરીરના દરેક રોગો જેવા કે કમરદર્દ, સાયટિકા , વા તેમજ સ્ત્રી રોગો તેમજ કોઈ પણ જુના રોગોના ઈલાજ એક્યુપ્રેશરના આધુનિક મશીનથી સારવાર કરવામાં આવી હતી. જેમાં આશરે 300 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
આ ઉપરાંત આ કેમ્પની સાથે અહીંની મામલતદાર કચેરીના સહકારથી રાશન કાર્ડની ઈ-કેવાયસી માટેનો પણ કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેનો પણ આશરે 175 થી વધુ લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા શ્રી જલારામ અન્નપુર્ણા ગૃહના ટ્રસ્ટીઓ, કમિટી મેમ્બર, તેમની ટીમ તેમજ લોહાણા મહાજન ટ્રસ્ટના સલાહકાર એડવોકેટ જયેશભાઈ નથવાણી તેમજ તેમના ધર્મપત્ની, મુકેશભાઈ ઢાંકી, કિરણભાઈ બરછા સાથે અન્ય સેવાભાવી કાર્યકરોનો નોંધપાત્ર સહયોગ સાંપળ્યો હતો.
આ તબક્કે ટ્રસ્ટ દ્વારા દાતાઓ તેમજ તમામ દર્દીઓ અને સેવા કરનાર દરેક સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
(ફોટો:- કુંજન રાડિયા)


