જામ ખંભાળિયા, તા. ૨૦-૦૧-૨૦૨૫
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાળ મજુરી પ્રથા નાબુદ કરવા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રચાયેલી ટાસ્ક ફોર્સની ટીમના માર્ગદર્શન હેઠળ સરકારી શ્રમ અધિકારી ડૉ. વી.જી.બોરીયા અને તેમની ટીમ દ્વારા ખંભાળિયામાં સ્ટેશન રોડ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એક ફરસાણની દુકાનમાંથી આશરે પોણા 14 વર્ષના બાળ શ્રમિકને મુક્ત કરાવવામાં આવ્યો હતો. સાથે દુકાન માલિક સામે બાળ અને કિશોર શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) કાયદા હેઠળ ગુન્હો નોંધાવવામાં આવ્યો છે.
મુક્ત કરાયેલા બાળ શ્રમિકને બાળ સુધારા ગૃહમાં મોકલી આપવામાં આવ્યો છે. જે અંગેની માહિતી જિલ્લા મદદનીશ શ્રમ આયુક્ત કચેરી દ્વારા આપવામાં આવી છે.
છોડાવાયેલ બાળકને આર્થિક મદદ કરશે તંત્રના અધિકારીઓ
સામાન્ય રીતે ગરીબ પરિવારના બાળકો પોતાના અભ્યાસનો ખર્ચ કાઢવા માટે કે પોતાના અત્યંત ગરીબ પરિવારને મદદરૂપ થવા માટે કોઈને કોઈ મજૂરી કરવા માટે જોડાતા હોય છે અને તેને મજૂરીએ રાખનારનો ઈરાદો પણ બાળકનું શોષણ કરવા કરતાં બાળકને કામના બહાને તાલીમ આપવાનો તેમજ એ બહાને આર્થિક રીતે કશુંક આપવાનો મોટાભાગે હોય છે. જેમનું ખિસ્સો તંદુરસ્ત હોય તેવા પરિવારના બાળકો કામ પર જતા જ નથી. તેથી તંત્ર જ્યારે જ્યારે બાળકોને મજૂરીમાંથી છોડાવવા માટેની કામગીરી કરે છે ત્યારે તેને મજૂરીએ રાખનાર શેઠિયાઓને ખાસ કોઈ નુકસાન થતું નથી પરંતુ જેમને છોડાવાયેલ ગણવામાં આવે છે તે બાળકને બહુ જ મોટું નુકસાન થાય છે. તે બહુ જ દયાપાત્ર સ્થિતિમાં આવી જાય છે અને તેનો પરિવાર પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. બિન સત્તાવાર સ્થાનેથી જાણવા મળતી વિગતો અનુસાર આ કેસમાં તંત્રના અધિકારીઓ માત્ર બાળકને છોડાવીને તેને કરુણ પરિસ્થિતિમાં મૂકી દેવા માંગતા નથી પરંતુ તેમને આર્થિક રીતે ખૂબ ખૂબ મદદ કરવાના છે. અધિકારીઓ દ્વારા થનારી મદદ અંગેની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.