Saturday June 21, 2025

ખંભાળિયા નજીક જિલ્લા પોલીસના સુવિધારૂપ પદયાત્રી કેમ્પનો લાભ લેતા હજારો પદયાત્રીઓ

– ભોજન, વિશ્રામ સાથે આરોગ્ય, તબીબી ચકાસણી સહિતની વિવિધ સેવાઓ –

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૩-૨૦૨૫

         દેવભૂમિ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે દરરોજ હજારોની સંખ્યામાં પદયાત્રીઓની અવર-જવર ધરાવતા ખંભાળિયા નજીકના હાઈવે પર જિલ્લા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા સુવિધાઓ સાથેના પદયાત્રી કેમ્પનો લાભ દરરોજ હજારો કૃષ્ણ ભક્તો લ્યે છે. ત્યારે વિશાળ અને વિવિધ સુવિધાઓ સાથેના આ પદયાત્રી કેમ્પનું આયોજન ભક્તોમાં ખૂબ જ આવકારદાયક બન્યું છે.

       ભગવાન શ્રીકૃષ્ણમાં અપાર શ્રદ્ધા ધરાવતા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની પ્રેરણાથી તેમના સીધા માર્ગદર્શન હેઠળ દ્વારકાધીશ મંદિરે પરંપરાગત રીતે યોજાતા હોળી, ધુળેટીમાં ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી પગપાળા જતા શ્રદ્ધાળુઓની સેવા તેમજ સુવિધા અર્થે અહીંના જામનગર માર્ગ પર આવેલા આરાધના ધામ નજીક વિશાળ પદયાત્રી કેમ્પ ઉભો કરવામાં આવ્યો છે. સિંહણ ડેમ નજીકના નયન રમ્ય વાતાવરણમાં ગત તારીખ 6 માર્ચથી કાર્યરત બનાવવામાં આવેલા આ “પોલીસ સેવા કેમ્પ”માં આવતા પદયાત્રીઓને અતિથિવિશેષ ગણીને વિવિધ પ્રકારની મૂળભૂત જરૂરિયાતો તેમજ સગવડ પૂરી પાડવામાં આવે છે. મહત્વની બાબત તો એ છે કે અહીં તમામ વ્યવસ્થા સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ-અલગ બનાવવામાં આવી છે.

– વિવિધ આરોગ્ય લક્ષી સેવાઓ –

        દૂર-દૂરથી જુદા-જુદા વિસ્તારમાં અહીંથી પસાર થતાં પદયાત્રીઓના પગના દુખાવામાં રાહત બની રહે તે માટે મસાજ તેમજ પગમાં છાલા, નસ ચોટી જવી કે અન્ય કોઈ શરદી, ઉધરસ, તાવ જેવી બીમારી માટેની દવાઓ પ્રમાણિત ડિગ્રી ધરાવતા ડોક્ટરો દ્વારા અહીં પૂરી પાડવામાં આવે છે. વયોવૃધ્ધ પદયાત્રીઓને આંખમાં વ્યવસ્થિત રીતે જો દેખાતું ન હોય તો અહીં તેઓની આંખોનું ચેકિંગ કરી, “હોળી કે રંગ આંખો કે સંગ” મુજબના કાર્યક્રમ હેઠળ વિનામૂલ્યે ચશ્મા પણ આપવામાં આવે છે.

      જે પદયાત્રીઓને ચાલવામાં તકલીફ જેવું જણાય તેવા લોકોને ટેકા રૂપ લાકડીઓનું પણ વિતરણ કરવામાં આવે છે. 

– પ્રાથમિક જરૂરિયાત મુજબની સેવાઓ – 

       પદયાત્રીઓના થાકને આરામદાયક રીતે દૂર કરવા માટે પૂરી સુવિધા ધરાવતા ગાદલા, ઓશીકા, ચાદર વિગેરે આ કેમ્પમાં પ્રાપ્ય બને છે. આ ઉપરાંત રાત્રિના સમયે કુલર સહિતના પંખાની સુવિધાઓ પણ પ્રાપ્ય છે. જે પદયાત્રીઓના પગરખાં તૂટી ગયા હોય અથવા અન્ય કોઈ કારણોસર પગરખાથી વંચિત હોય, તો તેઓને પગારખાનું પણ વિતરણ કરવામાં આવે છે.

          આ સેવા કેમ્પમાં અવિરત રીતે ચા, પાણી, નાસ્તો, પૌષ્ટિક ભોજન ઉપરાંત ફ્રુટની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. અહીં રોકાતા પદયાત્રીઓ માટે ગરમ પાણી અને ન્હાવા ધોવા માટે સંડાશ-બાથરૂમની પણ સુવિધા છે. રાત્રિના સમયે હાઈ-વે માર્ગ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહત્તમ પ્રમાણમાં પદયાત્રીઓને સારી ગુણવત્તાના રેડિયમ રિફ્લેકટરો અને સ્ટીકરો ઉપરાંત ટોર્ચનું પણ વિતરણ કરવામાં આવે છે. 

        આ કેમ્પમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી તન્ના, પ્રિન્સિપાલ અને સેશન્સ જજ શ્રી વ્યાસ, સહિતના મહાનુભાવોએ પણ ખાસ મુલાકાત લઇ અને પોલીસની આ પ્રકારની સેવાકીય કામગીરીને બિરદાવી હતી.

– પદયાત્રી કેમ્પનો લાભ લેતા હજારો કૃષ્ણ ભક્તો – 

       ચાર દિવસ જેટલા સમયગાળામાં અહીં સવાર-સાંજ આશરે 6,600 લોકોએ ભોજન, 32,000 લોકોએ ચા-નાસ્તો, 15,130 લોકોએ પ્રાથમિક મેડિકલ સેવા, 906 લોકોને ચશ્મા, 7430 લોકોની આંખોની ચકાસણી, 25,800 લોકોને રેડિયમ રિફલેકટર સ્ટીકર, તેમજ 870 નંગ ટોર્ચનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.

        પોલીસ તંત્રની આ ભગીરથ સેવા ખૂબ જ આવકારદાયક બની રહી છે. ત્યારે આ પોલીસ પદયાત્રી સેવા કેમ્પ માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સહિતના પોલીસ સ્ટાફ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top