
– પદયાત્રા કરીને ભાણવડ દર્શનાર્થે જતા કાળનો ભેટો થયો –
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૪-૦૫-૨૦૨૫
ખંભાળિયાના સતવારા અગ્રણી તેમજ ધરમપુર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચના પરિવારજનો ગતરાત્રે ભાણવડ ખાતે માનતા પૂરી કરવા ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે જતા એક બોલેરો વાહનની ઠોકરે 35 વર્ષીય એક યુવાનનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ કરુણ બનાવી વિગત એવી છે કે ખંભાળિયા નજીક આવેલી મહત્વની એવી ધરમપુર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ લાલજીભાઈ નકુમ (લાલાભાઈ ખાખી) ના પરિવારજનો દ્વારા એક માનતા પૂર્ણ કરવા માટે તેમના પુત્ર, પુત્રવધુ, બાળકો સહિત આશરે 20 જેટલા પરિવારજનો ગઈકાલે શુક્રવારે સાંજે આશરે છ વાગ્યે અહીંના ધરમપુર વિસ્તારમાંથી ચાલીને ભાણવડ ખાતે આવેલા પ્રાચીન અને પ્રખ્યાત ભૂતવડ દાદાના દર્શન કરવા માટે નીકળ્યા હતા.
આ પરિવારજનો રાત્રે અત્રેથી આશરે 28 કી.મી. દૂર મોટી ખોખરી ગામના પાટીયા નજીક પહોંચ્યા, ત્યારે અહીંથી રાજેશભાઈ લાલજીભાઈ નકુમ, તેમના મિત્ર જયંતભાઈ અને જીતેન્દ્રભાઈ લાલજીભાઈ નકુમએ અહીંથી વાહન મારફતે તેમને સાંજનું ભોજન પહોંચાડ્યું હતું.
જમીને તેઓ ભાણવડ તરફ પ્રયાણ કરતા રાત્રિના આશરે પોણા બાર વાગ્યાના સમય એક સ્કૂલ નજીક પહોંચતા આ માર્ગ પર ખંભાળિયા તરફથી પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 35 ટી. 1643 નંબરના બોલેરો વાહનના ચાલકે ચાલીને જઈ રહેલા જિલ્લા ભાજપ મહામંત્રી રસિકભાઈ લાલજીભાઈ નકુમના લઘુબંધુ એવા જીતેન્દ્રભાઈ લાલજીભાઈ નકુમ (ઉ.વ. 35) ને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આથી ગંભીર રીતે લોહી લુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત જીતેન્દ્રભાઈ ઉર્ફે કનાભાઈને ખાનગી કારમાં ખંભાળિયાની હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. અકસ્માત સર્જીને બોલેરો વાહનનો ચાલક નાસી છૂટ્યો હતો.
અકસ્માતનો આ બનાવ બનતા અહીંના રાજકીય આગેવાનો, કાર્યકરો તેમજ સતવારા સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલે દોડી ગયા હતા. આજરોજ સવારે 9 વાગ્યે તેમની સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો સાથે આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ રાજેશભાઈ લાલજીભાઈ નકુમ (ઉ.વ. 38) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે બોલેરો વાહનના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આરોપીની અટકાયત સહિતની કાર્યવાહી કરી હતી.
રેતી-કપચીના વ્યવસાય સાથે સંકળાયેલા મૃતક જીતેન્દ્રભાઈ ત્રણ ભાઈઓમાં સૌથી નાના હોવાનું તેમજ તેમને બે પુત્રો હોવાનું જાણવા મળ્યું છે. સતવારા યુવાનના અપમૃત્યુના આ બનાવે મૃતકના પરિવારજનો સાથે સતવારા સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.
(ફોટો:- કુંજન રાડિયા)