
– સીએસઆર અંતર્ગત વિવિધ સેવાકાર્યો લોકોને અર્પિત –
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૭-૦૨-૨૦૨૫
ખંભાળિયા વાડીનાર સ્થિત નયારા એનર્જી દ્વારા ઔદ્યોગિક સામાજિક જવાબદારીના ભાગરૂપે અનેક પ્રકારના સેવાકીય કાર્યો અવિરત કરવામાં આવી રહ્યા છે. જેમાં તાજેતરમાં કેટલાક સેવાકીય પ્રકલ્પોનું લોકાર્પણ દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લામાં કરવામાં આવ્યું હતું.
જામનગરમાં નયારા એનર્જીએ જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન સાથે જોડાઈને યુવાનોને આદ્યોગિક તાલીમ મળી રહે એ માટે સીએનસી/વીએમસી ટેકનિકલ તાલીમ કેન્દ્રની શરૂઆત કરી છે. આ કેન્દ્રમાં આધુનિક વીએમસી મશીનની અર્પણવિધિ નયારા એનર્જીના ચેરમેનશ પ્રસાદ પાનીકર, વાડીનાર રિફાઇનરીના હેડ અમરકુમાર સહિતની ઉપસ્થિતિમાં કરાઈ હતી. આ પહેલથી જામનગર જિલ્લામાં સીએનસી-આધારિત કાર્યબળ, ખાસ કરીને ઓપરેટરો અને પ્રોગ્રામરોમાં કુશળ માનવ સંસાધનોની નોંધપાત્ર અછતને દૂર કરવાનો ઉદ્દેશ્ય છે.

નયારા એનર્જી દ્વારા સમર્થિત એફડબલ્યુડબલ્યુબી તથા આર્ય ડોટ એજી દ્વારા સંયુક્ત રીતે અમલમાં મૂકાયેલા પ્રોજેક્ટમાં ખંભાળિયા અને લાલપુર બ્લોકના ગામડાઓમાં કૃષિ-મૂલ્ય સાંકળો વિકસાવવા તથા ખેડૂતોને વધુ સારી રીતે વેપાર કરવા માટે સુવિધાસભર તાલીમ આપવા ખંભાળિયા ફાર્મર પ્રોડ્યુસર કંપનીની સ્થાપના કરવામાં આવી છે. જેનાથી ઉત્પાદન અંગેના પડકારોનો સામનો કરવા, ખેડૂતોને વધુ સશક્તિકરણ કરવા અને બજારમાં તેમની પહોંચ વધારવા માટે આ પ્રોજેક્ટ મહત્વની ભૂમિકા ભજવશે.
ખંભાળિયાની સરકારી જનરલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના પરિવારોને હોસ્પિટલના પરિસરમાં પાયાની કેન્ટીન સુવિધા મળી રહે એ માટે નયારા એનર્જીએ હોસ્પિટલમાં ઈકો-કેન્ટીન એન્ટરપ્રાઈઝ સ્થાપવા માટે હર્ષદપુરના લુણાઈ કૃપા સ્વ-સહાય જૂથની ચાર મહિલાઓના જૂથને ટેકો આપ્યો હતો. આ માટે જૂથને “સખીનું રસોડું” નામ આપી જરૂરી સાધનો માટે સહાય, રસોડા અંગેની તાલીમ, બીજ મૂડી વગેરે સહયોગ પૂરો પાડયો છે. “સખીનું રસોડું” પ્રોજેક્ટને નયારા એનર્જીના ઉચ્ચ અધિકારીગણને હાજરીમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

(ફોટો:- કુંજન રાડિયા)