Saturday June 21, 2025

ખંભાળિયા પાલિકાના શોપિંગ સેન્ટરની સોમવારે થશે હરાજી: રૂ. પાંચ કરોડથી વધુ આવક થવાની સંભાવના

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૫

        છેલ્લા લાંબા સમયથી કંગાળ અવસ્થામાં રહેલી ખંભાળિયા નગરપાલિકાને હાલ ઘણા સમયથી કર્મચારીઓના પગારના પણ સાંસા છે. ત્યારે સોમવાર તા. 27 જાન્યુઆરીના રોજ અહીંના કોમર્શિયલ વિસ્તારમાં આવેલા અને છેલ્લા ઘણા વર્ષોથી બંધ રહેલા નગરપાલિકાના શોપિંગ સેન્ટરની દુકાનોની હરાજી મારફતે કરોડો રૂપિયાની આવક થવાની સંભાવના છે. 

        ખંભાળિયાના ટ્રાફિકથી ધમધમતા વિસ્તાર એવા જોધપુર ગેઈટ ચોકમાં નગરપાલિકા દ્વારા વર્ષો પૂર્વે 12 દુકાનો સાથેનું શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું. પરંતુ આ જમીનની સ્થિતિ ‘શ્રી સરકાર’ની હોય, નગરપાલિકાની માલિકીની ન થતા વર્ષોથી આ શોપિંગ સેન્ટર ધૂળ ખાતું રહ્યું હતું ત્યારે નગરપાલિકાની વર્તમાન બોડીએ આ જમીન ‘શ્રી સરકાર’ માંથી નગરપાલિકાના નામની કરાવવામાં સફળતા મળતા હવે આ શોપિંગ સેન્ટરની હરાજી શક્ય બનશે. 

        ટ્રાફિકથી વ્યસ્ત એવા આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી મોકાની 12 દુકાનોની હરાજી આગામી સોમવાર તારીખ 27 મી જાન્યુઆરીના રોજ મુકરર કરવામાં આવી છે. આ દુકાનોની અપસેટ પ્રાઈઝ રૂપિયા સાડા પંદર લાખ નક્કી થઈ છે. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે અહીંના જોધપુર ગેઈટ તથા આસપાસના વિસ્તારોમાં દુકાનોના ભાવ રૂપિયા 50 થી 60 લાખ સુધી ગણાઈ રહ્યા છે.

           ત્યારે આ દુકાનોની હરાજીમાં સહભાગી થવા માટે 122 વ્યક્તિઓએ રૂપિયા એક-એક હજાર આપીને હરાજીની બુકલેટ લીધી હતી. નિયમ મુજબ રૂ. 2,00,000 ની ડિપોઝિટ ભરીને હરાજીની પ્રક્રિયામાં સહભાગી થવા માટે 106 વ્યક્તિઓએ રૂપિયા બે-બે લાખના ડિમાન્ડ ડ્રાફ્ટ નગરપાલિકામાં જમા કરાવ્યા છે. જેથી નગરપાલિકાને હાલ રૂ. 2.12 કરોડની ડિપોઝિટની રકમ જમા થઈ છે. 

        હાલની પરિસ્થિતિમાં 106 કેટલા અરજદારોએ દુકાન ખરીદવાની તૈયારી દર્શાવી છે. ત્યારે હરાજીમાં ઊંચી બોલી બોલાય તો પાલિકાને રૂપિયા પાંચેક કરોડથી વધુની આવક થવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર પ્રક્રિયા માટે નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, ચીફ ઓફિસર રાહુલ કરમુર તેમજ ઈજનેર એન.આર. નંદાણીયા અને સ્ટાફ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

        અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષો અગાઉ નગરપાલિકા દ્વારા ચાર રસ્તા વિસ્તાર અને જોધપુર ગેઈટ વિસ્તારમાં પણ બનાવવામાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં હરાજી મારફતે પાઘડીથી અને ભાડા વાળી દુકાનો આપી છે. ત્યારે આ વખતે સોમવારે હરાજી થનારા શોપિંગ સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો વેચાણ હક્કથી આપવામાં આવશે. જે વેપારીઓ, નગરજનો માટે આકર્ષણ રૂપ છે.

       આ દુકાનો જે-તે આસામીઓને સંપૂર્ણપણે વ્હાઇટની રકમથી જ વેચાણથી આપવામાં આવશે. જેથી અને ખેડૂતોએ પણ આ વેચાણ પ્રક્રિયામાં ઝંપલાવ્યું છે.

        આમ, સોમવારે હરાજી પ્રક્રિયા બાદ કરોડો રૂપિયાની આવક થતા નગરપાલિકા મહદ અંશે આર્થિક રીતે પગભર થશે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top