
–
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૨-૦૨-૨૦૨૫
ખંભાળિયાના રેવન્યુ પ્રેક્ટિસનર્સ (એડવોકેટ) એસોસિએશનએ અત્રેની મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, કલેકટર કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં પ્રેક્ટિસ કરતા બધા વકીલોનું એક સંગઠન છે. જેમાં આ સંગઠન દ્વારા વકીલો અને અરજદારોને કોઈ તકલીફ ન પડે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ સારી રીતે લાવી શકીએ તે હેતુથી આ સંગઠન કામ કરે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી વર્ષ 2025-26 ના સંસ્થાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આ મિટિંગમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સંગઠનના સિનિયર સલાહકાર સમિતીના વકીલો રમેશકુમાર માંડાણી, જયેશભાઈ નથવાણી, આર.એ. મુન્દ્રા અને સી.એમ.બુધભટ્ટી દ્વારા નવી બોડીના પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જેમાં આગામી વર્ષના પ્રમુખ તરીકે સંજય વી. આંબલીયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તેઓ સામાજીક કાર્યકર અને વિવિધ સામાજીક સંસ્થા સાથે કામ કરે છે અને નયારા પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ પણ છે. તેમની ટીમમાં ઉપપ્રમુખ તરીકે એડવોકેટ વિપુલ ગોસાઈ, બીજા ઉપપ્રમુખ તરીકે ભાવેશ છેતરિયા, સેક્રેટરી તરીકે દીપક ગાગીયા તથા જોઈન્ટ સેક્રેટરી તરીકે અરુણભાઈ નકુમ, ખજાનચી તરીકે તુષારભાઈ ધ્રુવ અને સહ ખજાનચી તરીકે પારસ ધ્રુવની સમરસ નિમણુંક કરવામાં આવી છે.
આ બિનહરીફ નિયુક્તિને રેવન્યુ પ્રેક્ટિસનર્સ (એડવોકેટ) એસોસિએશનના તમામ સભ્યોએ હર્ષ ભેર આવકારી, શુભકામનાઓ પાઠવી છે.