Headlines

ગાંડાનું ગૃપ ?!: ભાવનગરના હાથબની મંગલ ભારતી લોકશાળાનું પતન: જહોજલાલીથી બદનામી સુધીની સફર : એક સમયે જ્યાં પ્રવેશ પામવો અઘરો હતો ત્યાં મેનેજમેન્ટ જ વિદ્યાર્થીઓને લાવવા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાસે આજીજી કરે છે

એક સમયની પ્રતિષ્ઠિત સંસ્થા હવે વિદ્યાર્થીઓ માટે વલખાં મારે છે: નબળું મેનેજમેન્ટ અને કૌભાંડોએ શિક્ષણધામને બનાવ્યું બદનામ

​નારન બારૈયા, ધ ગ્રેટ વર્લ્ડ

શિક્ષણ જગતમાં એક સમયે જેનું નામ આદર સાથે લેવાતું હતું અને જ્યાં પ્રવેશ મેળવવો એ ગર્વની વાત ગણાતી હતી, તેવી ભાવનગર તાલુકાના હાથબ બંગલા વિસ્તારમાં આવેલી ‘મંગલ ભારતી લોકશાળા’ આજે પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહી છે. છેલ્લા બે દાયકામાં આ સંસ્થાની છબી એટલી હદે ખરડાઈ છે કે વાલીઓ હવે અહીં પોતાના બાળકોને મોકલતા ડરે છે. જે સંસ્થામાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ પોતાની લાયકાત સિદ્ધ કરવી પડતી હતી, ત્યાં આજે ખાલી બેન્ચો ભરવા માટે મેનેજમેન્ટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના પગે પડવાની નોબત આવી છે.

સંસ્થાના પતનનું મુખ્ય કારણ: આદર્શ વિરુદ્ધનું આચરણ

એક સમયે મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપતી આ સંસ્થામાં છેલ્લા કેટલાક વર્ષોમાં એવા તત્વો ઘૂસી ગયા છે કે જેમણે શિક્ષણને વેપાર અને સંસ્થાને કૌભાંડોનું કેન્દ્ર બનાવી દીધું છે. હલકી કક્ષાના શિક્ષકોની ભરતી અને મેનેજમેન્ટની જોહુકમીએ આ વિરાટ સંસ્થાને જમીનદોસ્ત કરી દીધી છે.

દંતકથા સમાન શિક્ષકોનો સુવર્ણ યુગ અને આજની વિકરાળ વાસ્તવિકતા

​મંગલ ભારતી લોકશાળાના પતનનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એક સમયે અહીં શિક્ષણના એવા દિગ્ગજો હતા જેમનું નામ સાંભળીને જ આદર છૂટે. નેમુભાઈ આંબલીયા જેવા લોખંડી પુરુષ અને વહીવટના કુશળ પ્રિન્સિપાલના સમયમાં શાળાની શિસ્ત આખા રાજ્યમાં વખણાતી હતી. દામજીભાઈ પટેલ જેવા હિન્દીના પ્રખર જાણકાર અને જેરામભાઈ પટેલ જેવા કૃષિ વૈજ્ઞાનિક જેમના હૈયામાં ખેતી વસતી હતી, તેઓ અહીંના પાયાના પથ્થર હતા.

​નટુભાઈ અને ધનશ્રીબેન જેવા અંગ્રેજીના તજજ્ઞોએ ગ્રામીણ વિદ્યાર્થીઓના ઈંગ્લીશને પણ વૈશ્વિક સ્તરનું બનાવ્યું હતું. મુકેશભાઈ ટી. પટેલ વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનને રમત-રમતમાં ગળે ઉતારી દેતા, તો બીપીનભાઈ જેઠવા અને બોઘાભાઈ જેવા ગણિતના જાદુગરો પાયથાગોરસના પ્રમેયને એવી રીતે ભણાવતા કે વિદ્યાર્થીઓને ક્યારેય ગોખવાની જરૂર પડતી નહીં. ખાસ કરીને સુભાષ જેઠવા જેવા શિક્ષકો જે ગુજરાતી ભાષાના વ્યાકરણ અને શુદ્ધિ પર એટલો ભાર મૂકતા કે વિદ્યાર્થી વિશ્વ સમક્ષ ગર્વથી શુદ્ધ ગુજરાતી બોલી શકતો.

​પરંતુ આજે? આજે પરિસ્થિતિ સાવ વિપરીત છે. સંસ્થામાં એવા “માયાવી” શિક્ષકો ભરાઈ ગયા છે જેમને ગુજરાતી જોડણી કે વ્યાકરણનું પણ ભાન નથી. જે સંસ્થામાં ભાષાના શુદ્ધિકરણ પર ભાર મુકાતો હતો, ત્યાં આજે શિક્ષકોની ભાષાકીય પરીક્ષા લેવામાં આવે તો માંડ એકાદ-બે શિક્ષક પાસ થાય તેવી કંગાળ સ્થિતિ છે.

કૌભાંડો અને ક્રાઈમનું કેન્દ્ર બની ગયેલું કેમ્પસ

​સંસ્થાની બદનામી પાછળ માત્ર નબળું શિક્ષણ જ જવાબદાર નથી, પણ સંસ્થામાં થયેલા અનેક કૌભાંડો પણ છે. મેનેજમેન્ટની નબળી નીતિઓના કારણે લોકોની જમીન દબાવવાથી માંડીને ગેરરીતિઓના ગંભીર આક્ષેપો થયા છે. એક તબક્કે તો વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો મેનેજમેન્ટથી એટલી હદે કંટાળી ગયા હતા કે સંસ્થા પર પથ્થરમારા અને ક્રાઈમના બનાવો પણ બન્યા હતા. જે સંસ્થાનું ચરિત્ર પોતે જ ડાઘાવાળું હોય, તે બાળકોના ચરિત્રનું ઘડતર કેવી રીતે કરશે? એ પ્રશ્ન આજે દરેક વાલીને સતાવી રહ્યો છે.

વિગતભૂતકાળની સ્થિતિ (સુવર્ણ યુગ)વર્તમાન સ્થિતિ (પતનનો યુગ)
પ્રવેશપ્રવેશ પરીક્ષા અને કડક લાયકાતવિદ્યાર્થીઓ લાવવા આજીજી કરવી પડે છે
શિક્ષકોવિષય નિષ્ણાત અને આદર્શવાદીવ્યાકરણના જ્ઞાન વગરના અને માત્ર પગારલક્ષી
વહીવટનેમુભાઈ આંબલીયા જેવા કુશળ વહીવટદારોકૌભાંડો અને વિવાદોથી ઘેરાયેલું મેનેજમેન્ટ
લોકપ્રિયતાવાલીઓ ભલામણ કરાવતાવાલીઓ સંસ્થાથી દૂર ભાગી રહ્યા છે

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ‘ઉપયોગ’ અને વિનંતીનું રાજકારણ

​તાજેતરમાં સંસ્થાના ટ્રસ્ટી બીપીન શાહ દ્વારા એક અપીલ કરવામાં આવી છે કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાની ભલામણથી નવા વિદ્યાર્થીઓને આ શાળામાં ભણવા માટે લાવે. હકીકતમાં, આ કોઈ અપીલ નથી પણ સંસ્થાની લાચારી છે. સંસ્થાએ વ્હોટ્સએપ ગ્રુપ બનાવીને લોકોને જોડવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ લોકો મેનેજમેન્ટના ઈરાદાઓ સમજી ગયા છે. ઘણા લોકોએ તો આને “ગાંડાનું ગ્રુપ” ગણાવીને તેમાંથી લેફ્ટ થવાનું શરૂ કરી દીધું છે. સુભાષ જેઠવા કહેતા હતા કે “શુદ્ધ નહીં બોલો તો લોકો ગાંડા ગણશે”, આજે આ સંસ્થાના શિક્ષકોની ભાષા અને વર્તન જોઈને એ વાત સાચી સાબિત થઈ રહી હોય તેવું લાગે છે.

શુદ્ધિકરણ અભિયાનની તાતી જરૂરિયાત

​બીપીનભાઈ જેવા પવિત્ર અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા વ્યક્તિઓ જ્યારે આવા વિવાદાસ્પદ મેનેજમેન્ટ સાથે જોડાય છે, ત્યારે તેમની પોતાની ઈમેજ પણ જોખમમાં મુકાય છે. જો મંગલ ભારતી લોકશાળાને ફરી બેઠી કરવી હોય, તો નીચે મુજબના કડક પગલાં અનિવાર્ય છે:

  • નબળા શિક્ષકોની હકાલપટ્ટી: જે શિક્ષકોને વિષયનું કે ભાષાનું જ્ઞાન નથી, તેમને તાત્કાલિક દુર કરવા જોઈએ.
  • મેનેજમેન્ટમાં શુદ્ધિકરણ: ખરાબ માણસો અને કૌભાંડીઓને સંસ્થાના વહીવટમાંથી મુક્ત કરવા જોઈએ.
  • પારદર્શિતા: સંસ્થાના વહીવટમાં પારદર્શિતા લાવી ફરીથી લોકોનો વિશ્વાસ જીતવો જોઈએ.

​જ્યાં સુધી આ શુદ્ધિકરણ અભિયાન નહીં ચાલે, ત્યાં સુધી ગમે તેટલી વિનંતીઓ કે વ્હોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવશે, પણ લોકો પોતાના સંતાનોનું ભવિષ્ય આ અંધકારમય બની ગયેલી સંસ્થામાં હોમવા તૈયાર નહીં થાય. હાથબની આ લોકશાળા માટે હવે સમય પાકી ગયો છે કે તે પોતાની ભૂલો સુધારે, અન્યથા તે માત્ર ઈતિહાસના પાનાઓ પર જ રહી જશે. કેટલાક લોકો એટલે કે સંસ્થાના જ કેટલાક લોકો દ્વારા એવી દલીલ થઈ રહી છે કે આ સંસ્થા ગરીબ વિદ્યાર્થીઓને છાત્રાલય પૂરી પાડીને તેમનું જીવન સુધારવામાં મદદરૂપ થઈ રહી છે પરંતુ હકીકતમાં સંસ્થાના જ કેટલાક લોકો ગરીબ વિદ્યાર્થીઓના હિતના બહાને સંસ્થાને જ ચુસી રહ્યા છે. શાળા મેનેજમેન્ટના કેટલાક માણસો અને શિક્ષકો પણ, સુભાષ જેઠવા જેવા શિક્ષક કહેતા હતા તેમ, “સામસામે ખેંચાણી અને મારી આંખ મીંચાણી, મને કંઈ ખબર નથી.” જેવી વૃત્તિ રાખવી રહ્યા છે. બસ આ જ કારણ છે કે સંસ્થા સામે પોતાના અસ્તિત્વનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠનના નામે સંસ્થા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ભેગા કરવા માંગે છે પરંતુ એમાં સંસ્થાના સ્થાપિત હિતો રાજકારણ તો પોતાનું જ ચલાવવા માંગે છે. તેથી આવી બેઠકોમાં પણ સંસ્થાના અમુક લોકો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવા માંગે છે – તે વાત વ્યાપક પ્રમાણમાં ચર્ચાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *