
હરેશ જોષી, ભાવનગર
વિદ્યાર્થીઓ પોતાની ભાષા વિશે ગૌરવ ગાન કરી શકે તેવા હેતુથી સમગ્ર વિશ્વમાં વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી 21 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવે છે. ગુજરાત સાહિત્ય અકાદમી અને ચ.મો. વિદ્યાલય હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે સંસ્થામાં પણ આ દિવાસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
આ દિન વિશેષ નિમિત્તે ઢોલ શરણાઈના સંગાથે પુસ્તક યાત્રા યોજવામાં આવી હતી. સાહિત્યકારોની વેશભૂષા અને સાંસ્કૃતિક પરિવેશમાં વિદ્યાર્થીઓએ આ યાત્રાને યાદગાર બનાવી હતી. રંગોળી,વિવિધ ચાર્ટ-ચિત્રો, પુસ્તક પ્રદર્શન, ગુજરાતી ભાષાના ગીત-ગાન અને અભિનય દ્વારા આ કાર્યક્રમ આનંદીત બન્યો હતો.
કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના જાણીતા ભાષાવિદ ડૉ. બળવંતભાઈ તેજાણીએ વિદ્યાર્થીઓને ભાષા શુદ્ધિકરણ ઉપર સુંદર વક્તવ્ય આપ્યું હતું. તેમજ કાજલબેન જોષીએ પોતાના જીવનની લેખન કળાની સવિશેષ માહિતી આપી હતી. શાળાના આચાર્ય ડૉ. ઘનશ્યામસિંહ રાઠોડે આ દિન નિમિત્તે આપણી ફરજોની વાત કરીને સમગ્ર કાર્યક્રમનું આભાર દર્શન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ભાષા શિક્ષકશ્રીઓ અને શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.
