
આપણે ઉચ્ચાર સંબંધી વાત કરી રહ્યા છીએ ત્યારે અનુનાસિક ધ્વનિઓના ઉચ્ચારણ સંબંધે પણ કેટલુંક વિચારીએ. ઙ, ઞ, ણ, ન અને મ અનુનાસિક વ્યંજનો છે. પાણિનિએ ‘માહેશ્વર’સૂત્રમાં સાતમાં ક્રમમાં અનુનાસિકોનો સમાવેશ કર્યો છે. આ વ્યંજનો પ્રથમ મુખમાંથી (‘મ’ સિવાયના) અને પછી નાકમાંથી બોલાય છે, એટલે અનુનાસિક કહેવાય છે.અનુનાસિક સિવાયના ક થી મ સુધીના વ્યંજનો આપણે બોલીએ છીએ ત્યારે ઉચ્છ્વસિત હવા માત્ર મુખમાંથી જ બહાર આવે છે, જ્યારે અનુનાસિક ધ્વનિઓના ઉચ્ચારણ વખતે કેટલીક હવા નાકમાંથી બહાર આવે છે.(નાક બંધ કરીને અનુનાસિક વ્યંજનોનું ઉચ્ચારણ કરી જુઓ) અનુનાસિકની બીજી વિશેષતા એ છે કે એ અનુસ્વારની જગ્યાએ ઉચ્ચારાય છે. એ પણ વર્ગીય વ્યંજનો છે. ક(કંઠ્ય) વર્ગનો અનુનાસિક ‘ઙ’, ચ (તાલવ્ય)વર્ગનો અનુનાસિક ‘ઞ’, ટ(મૂર્ધન્ય) વર્ગનો અનુનાસિક ‘ણ’, ત (દન્ત્ય)વર્ગનો અનુનાસિક ‘ન’ અને પ(ઔષ્ઠ્ય) વર્ગનો અનુનાસિક ‘મ’ છે. ‘ઙ’ અને ‘ઞ’ પરથી શરુ થતો હોય એવો કોઈ શબ્દ,શબ્દકોશમાં નથી, એટલે કેટલાક લોકો એવું માનતા થયા છે કે હવે આ ધ્વનિઓ નહિ હોય! પરંતુ એવું નથી. ‘ઙ’ અને ‘ઞ’થી કોઈ શબ્દ શરુ ન થતો હોવા છતાં એ આપણા ઉચ્ચારણમાં છે.

આ ધ્વનિઓ ક્યારે બોલાય છે, કેમ બોલાય છે એની થોડી માહિતી આપણે મેળવીએ. આપણે ગંગા, કાંચનજંઘા,ચંગુ, મંગુ જેવા શબ્દો બોલીએ છીએ ત્યારે અનુસ્વારની જગ્યાએ ‘ઙ’નો જ ઉચ્ચાર કરીએ છીએ અને સંજય, ધનંજય, સંચો, મંચ, જેવા શબ્દો બોલીએ છીએ ત્યારે અનુસ્વારની જગ્યાએ ‘ઞ’નો ઉચ્ચાર કરીએ છીએ.(તમે બરાબર સરવા કાને સાંભળો તો સંભળાશે.) ગંગા શબ્દમાં અનુસ્વારની જગ્યાએ ‘ઙ’ જ ઉચ્ચારાય અને સંજય શબ્દમાં અનુસ્વારની જગ્યાએ ‘ઞ’ જ ઉચ્ચારાય એવું કેમ બનતું હશે, તો એનો પણ ઉત્તર છે કે અનુસ્વાર પછી જે વર્ગનો ધ્વનિ આવતો હોય, એ વર્ગનો જે અનુનાસિક હોય તે અનુનાસિક એ અનુસ્વારની જગ્યાએ ઉચ્ચારાય. દા.ત. ’સંબંધ’ શબ્દમાં બે અનુસ્વાર છે. પ્રથમ અનુસ્વાર પછી ‘બ’ છે. ’બ’ પ (ઔષ્ઠ્ય) વર્ગનો ધ્વનિ છે. પ (ઔષ્ઠ્ય) વર્ગનો અનુનાસિક ‘મ’ છે,એટલે પ્રથમ અનુસ્વારની જગ્યાએ ‘મ’ નો ઉચ્ચાર થશે અને બીજા અનુસ્વાર પછી ‘ધ’ છે. ’ધ’ ત (દન્ત્ય)વર્ગનો ધ્વનિ છે, ત(દન્ત્ય) વર્ગનો અનુનાસિક ‘ન’ છે, એટલે બીજા અનુસ્વારની જગ્યાએ ‘ન’ નો ઉચ્ચાર થશે. આમ ‘સમ્બન્ધ’ એવું સાચું ઉચ્ચારણ થશે. આવું તમામ અનુનાસિકોનાં ઉચ્ચારણમાં અનુભવાશે.(અનુભવ કરી જુઓ અને સાચા ‘ઙ’ અને ‘ઞ’નાં ઉચ્ચારણો કરો).
