Saturday June 21, 2025

તત્ત્વભેદ: પ્રા. પ્રવીણ સલીયા : તમને કક્કો આવડતો નથી! (ભાગ 4)


વિદ્યાર્થી મિત્રો પૂછી રહ્યા છે : ‘અર્ધસ્વર-અર્ધવ્યંજન જેવું કાંઈ હોય?’ આના ઉત્તર બાબતે વિદ્વાનોમાં મતમતાંતર છે. જે ધ્વનિનો ઉચ્ચાર થોડો સ્વર જેવો અને થોડો વ્યંજન જેવો થાય છે એને અર્ધસ્વર કહેવાય. ઉચ્ચારણની સ્વતંત્રતા બાબતે સ્વર જ સંપૂર્ણ છે, વ્યંજનો તો સ્વરના ટેકાથી ઉચ્ચાર પામે ત્યારે પૂર્ણ બને છે. તેથી સામાન્ય રીતે ‘અર્ધવ્યંજન’ જેવી સંજ્ઞા જોવા મળતી નથી.પણ જો ભાષામાં અર્ધસ્વર છે,તો એ અર્ધ વ્યંજન પણ હોવા જોઈએ! ગુજરાતી ભાષામાં અનેક વૈયાકરણીઓ એ વ્યાકરણ રચ્યું છે, તેમાંના મોટાભાગના વૈયાકરણીઓએ ધ્વનિના વિભાગો કર્યા છે, પણ કોઈએ અર્ધવ્યંજન વિષે વાત કરી નથી. જયંત કોઠારીએ આ બંને પ્રકારના ધ્વનિની વ્યાખ્યા આપી છે. થોડી અધરી છે પણ વાંચો. ‘કોઈ ભાષામાં એવું બને કે અમુક ધ્વનિઘટક શ્રાવ્યતાની પરાકાષ્ઠાએ આવતો હોય તેમજ અમુક સંયોગોમાં શ્રાવ્યતાની પરાકાષ્ઠાએ ન આવતો હોય, એટલે કે શ્રાવ્યતાની પરાકાષ્ઠાએ રહેલા બીજા કોઈ સ્વરના અનુગામી તરીકે અને વ્યંજનકોટીના ધ્વનિ તરીકે આવતો હોય આવા ધ્વનિને અર્ધસ્વર કહેવાય. એવું પણ બને કે અમુક ધ્વનિઘટક શ્રાવ્યતાની પરાકાષ્ઠાએ આવી શકતો ન હોય,પણ શ્રાવ્યતાની પરાકાષ્ઠાનું વહન કરનાર સ્વર સાથે આવી શકતો હોય અને શ્રાવ્યતાની પરાકાષ્ઠા સિવાયના સ્થાનોએ પણ આવતો હોય એવા ધ્વનિને અર્ધવ્યંજન કહી શકાય. જો કે આ બન્ને એક જ સરખા ધ્વનિ ઓ છે. આપણે આજે ગુજરાતી ભાષાના અર્ધસ્વર વિષે વાત કરીએ.


જુદા જુદા વિદ્વાનોએ જુદા જુદા ધ્વનિઓને અર્ધસ્વર ગણાવ્યા છે.પણ તેમાંના ‘ય’ અને ‘વ’ નિર્વિવાદ અર્ધસ્વરો છે. હરગોવિંદ કાંટાવાળાએ ‘ય’, ‘ર’, ‘લ’, અને ‘વ’ ને અર્ધસ્વરો ગણાવ્યા છે .ડૉ.પ્રબોધ પંડિતે ‘ય’, ‘હ’ અને ‘વ’ ને અર્ધસ્વર ગણાવ્યા છે. તમે ‘યી’ અને ‘ઈ’ ના ઉચ્ચારો કરી બંને વચ્ચેના ભેદ તપાસો તો સ્વર અને વ્યંજન વચ્ચેની પાતળી ભેદ રેખા તમને સમજાશે. ‘ય’ અને ‘વ’ સ્વરના ટેકા વગર સંપૂર્ણપણે ઉચ્ચારતા નથી એટલે એ વ્યંજન તો છે જ, પણ બંને જ્યારે સંધિવિગ્રહમાં વિશિષ્ટ ઉચ્ચારણમાં આવે છે ત્યારે એ સ્વરો બની જાય છે. સ્વરસંધિમાં ય=ઈ+અ અને વ=ઉ+અ થાય છે.આ સ્થિતિમાં આ બંને સ્વરના જ બનેલા છે. સંસ્કૃત સમાસોમાં આ બંનેની બહુ મોટી ભાગીદારી છે. મહાભારતમાં જાનામિધર્મ અને જાનામ્યધર્મ એવા બે શબ્દો છે,એ વાંચો. આ બંને શબ્દો વિરુદ્ધાર્થી છે-માત્ર ય ને કારણે! પ્રથમ શબ્દ ‘જાનામિધર્મ’નો અર્થ છે : “ધર્મ શું છે, એ હું જાણું છું’ બીજાની સંધિ છોડીએ તો (ય=ઈ+અ થાય) જાનામિ+અધર્મ ‘અધર્મ શું છે, એ હું જાણું છું.’ આપણે સ્વાગત બોલીએ છીએ ત્યારે સુ+આગત બોલીએ છીએ.અને વ ની સંધિ જોડીએ છીએ.આવા બીજાં અનેક ઉદાહરણો મળી રહેશે. વિસર્ગ સંધિમાં અર્ધસ્વર ‘હ’ ‘વિસર્ગ’, ‘સ’ અને ‘ર’ જેવો ઉચ્ચારાય છે. આપણા કક્કામાં જેટલા મહાપ્રાણ ધ્વનિઓ છે એ બધામાં મહાપ્રાણ તરીકે ‘હ’ આવે છે. અલ્પપ્રાણ અને મહાપ્રાણની યાદી બનાવો પછી એને અંગેજી મૂળાક્ષરો સાથે લખો. જેની પાછળ h આવે એ બધા વ્યંજનો આ ‘હ’ના ટેકાથી થયા છે. સર્વધર્મ પ્રાર્થનામાં આપણે ગાઈએ છીએ : “યહવ શક્તિ તું” એ આ નહિ હોય ને!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top