Saturday June 21, 2025

તત્ત્વભેદ: પ્રા. પ્રવીણ સલિયા: તમને કક્કો આવડતો નથી! (ભાગ 5)

પ્રા. પ્રવીણ સલિયા

સ્વરયંત્રનો આવાજ સાંભળો

ઘોષ અઘોષનો ભેદ અનુભવો


હવે એક વાચકમિત્ર પૂછે છે કે ‘હ’ના ઉમેરણથી ઉચ્ચારમાં કોઈ ફેરફાર થાય? એનો ઉત્તર ગયા ભાગમાં આપેલો જ છે કે એમ થવાથી અલ્પપ્રાણ વ્યંજન મહાપ્રાણ થાય. આ મહાપ્રાણ સિવાયના પણ કેટલાંક ભેદો આપણા કક્કમાં છે. એમાનો એક ભેદ છે ઘોષ વ્યંજન અને અઘોષ વ્યંજન. આ ઉચ્ચારણો આપણી નાદતંત્રી સાથે સંકળાયેલા છે. આપણા પ્રત્યેકના અવાજો જુદાં છે એનું કારણ આપણું સ્વરતંત્ર અને સ્વરયંત્ર છે. આપણું સ્વરયંત્ર પ્રાણીઓની તુલનાએ અનેક વિશિષ્ટતાસભર અવાજો કાઢી શકે છે.એટલે તો આપણો કક્કો અનેક ધ્વનિઓનો બનેલો છે. ધ્વનિઓ આપણે બાહ્યકર્ણથી સાંભળીએ છીએ પણ કેટલાક એવા ધ્વનિઓ પણ છે, જેના ભેદ સમજવા માટે-તેને સંભાળવા માટે અંત:કર્ણની (અંત:કરણ નહિ હો!) જરૂર પડે. તો એ માટે જરા કાનની કસરત કરીએ. ક, ચ, ટ, ત, પ, ખ, છ, ઠ, થ, ફ અઘોષ, ગ, ઝ, ડ, દ, બ, ઘ, ઝ, ઢ, ધ, ભ ઘોષ વ્યંજનો છે. આ બંનેના ઉચ્ચારણ માં એવું તો શું છે કે એક અઘોષ અને બીજા ઘોષ? આ બંને વચ્ચે ભેદ માટે નાદતંત્રીઓ જવાબદાર છે. આ નાદતંત્રીઓ સ્વરયંત્રમાં હોય છે, સ્ત્રી અને પુરુષોની નાદતંત્રી અલગ અલગ પ્રકારની હોય છે. પુરુષોની નાદ તંત્રીઓ સ્ત્રીઓની નાદતંત્રીઓની તુલનાએ ટૂંકી, ઓછી અને જાડી હોય છે; એટલે તેમનો અવાજ પણ સ્ત્રીઓની સરખામણીએ જાડો હોય છે. આ નાદતંત્રીઓ દરેક વખતે કંપન અનુભવતી નથી એટલે કે દરેક વખતે અવાજ કરતી નથી.પણ ઘોષ વ્યંજનોના ઉચ્ચારણ વખતે એ કંપન અનુભવે છે. એ કંપન સાંભળવા માટે અંત:કર્ણની જરૂર છે. એ સંભાળવા માટે એક પ્રયોગ કરીએ. પ્રથમ બંને કાનને અંગુઠા વડે બરાબર બંધ કરો. જેથી બહારનો અવાજ અંદર આવે નહી. પછી પ્રથમ અઘોષ વ્યંજનોનો ઉચ્ચાર મોટેથી કરો અને ધ્યાન નાદતંત્રી પર રાખો.(આ વખતે નાદ તંત્રીનો કોઈ અવાજ સંભળાશે નહિ.) ત્યાર પછી ઘોષ વ્યંજનોનો મોટેથી ઉચ્ચાર કરો. કાનને બરાબર બંધ જ રાખો અને નાદતંત્રીનો ઘોષ સાંભળો.(હવે નાદ તંત્રીનો ઘોષ સંભળાશે.) તમે જૂઓ કે આપણા પાણિનિ એ જમાનામાં લેન્વેજલેબ વગર કેટલું બઘું લખતા ગયા છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top