કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૨-૦૧-૨૦૨૫
રાજ્યના ચૂંટણી પંચ દ્વારા પરીપત્ર તા. 21 જાન્યુઆરીથી દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાયા, ભાણવડ તેમજ દ્વારકા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ અને ખંભાળિયા તાલુકા પંચાયતની ભરાણા તથા કલ્યાણપુર તાલુકા પંચાયતની જુવાનપુર બેઠકની પેટા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે.
ચુંટણી કાર્યક્રમ મુજબ ચૂંટણી જાહેરનામું પ્રસિધ્ધ કરવાની તારીખ 27 જાન્યુઆરી, ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી, ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 3, ઉમેદવારી પાછી ખેંચી લેવાની છેલ્લી તારીખ 4, મતદાનની તારીખ 16 ફેબ્રુઆરીના સવારે 7 થી સાંજના 6 સુધી અને જરૂર જણાયતો પુન: મતદાનની તારીખ 17 બાદ મતગણતરીની તારીખ 18 અને આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થવાની તારીખ તા. 21 ફેબ્રુઆરી રહેશે.
આચાર સંહિતાના અમલ દરમ્યાન ચૂંટણી હેઠળના વિસ્તારોમાં ચૂંટણીની કામગીરી સંબંધમાં અધિકારીઓ અને કર્મચારીઓની રજા મંજૂર કરી શકાશે નહિ તેમજ બદલી કરી શકાશે નહિ. સરકારી સેવાઓ અને જાહેર સાહસોમાં નિમણૂક આપી શકાશે નહિ. મતદારો પ્રભાવિત થાય તેવી કોઈપણ પ્રકારની જાહેરાત કરી શકાશે નહિ તેમજ વચનો આપી શકાશે નહિ. કોઈ પણ રૂપમાં કોઈપણ જાતની નાણાંકીય ગ્રાન્ટ અથવા તેના વચનોની જાહેરાત કરાશે નહિ. વિવેકાધીન ફંડમાંથી ચૂકવણી મંજૂર કરી શકાશે નહિ.
આ સૂચનાનો અમલ તા. પરિણામની જાહેરાત તા. 18 સુધી કરવાનો રહેશે તેમ અહીંના અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.
(કુંજન રાડિયા)