
– ચોમાસામાં હવે રસ્તા પર પાણી નહીં ભરાય : ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સાંસદ પૂનમબેન માડમ દ્વારા પ્રયાસો: દેવભૂમિ દ્વારકા જિલ્લાના પી.ડબ્લ્યુ.ડી. વિભાગના કાર્યપાલક ઇજનેર યુ.બી. ચૌધરીની જહેમત
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૫
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા હાઈવે માર્ગ પર સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે માયનોર પુલ બનાવવાના કામ શરૂ કરવામાં આવ્યા છે. આ માટે ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સાંસદ પૂનમબેન માડમ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પી.ડબ્લ્યુ.ડી. વિભાગના કાર્યપાલક ઇજનેર યુ.બી. ચૌધરીએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું છે કે દ્વારકા જિલ્લામાં અનેક સ્થળે રસ્તા ઉપર ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. ત્યારે આવા રસ્તા પરના માયનોર બ્રિજ માટે કરોડો રૂપિયાના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવી છે. આનાથી આગામી ચોમાસા પહેલા જ મોટાભાગના સ્થળે રૂ. એક- બે કરોડના ખર્ચે માયનોર બ્રિજ બનશે. જેથી પાણી ભરાવાથી રસ્તા બંધ થઈ જવાની સમસ્યા હલ થશે.
ખંભાળિયાથી દ્વારકા તરફ જતા લીંબડી ચરકલા રોડ પર રાણ ગામ પાસે બે કોઝવે રસ્તા પાસે આવેલા છે, જે રૂપિયા બે કરોડના ખર્ચે બનાવવા માટેના વર્ક ઓર્ડર અપાઈ ગયા છે. ઉપરાંત ખંભાળિયાથી બજાણા તરફ જતા રસ્તા પર કંડોરણા ગામ પાસેના કોઝવે પર માયનોર બ્રિજ, ચોખંડા-ભંડારીયા વચ્ચે માયનોર બ્રિજ, દેવળીયા નજીક માયનોર બ્રિજ, તેમજ ચુર અને ભાડથર વચ્ચે રૂપિયા બે કરોડના ખર્ચે બે પુલ ઉપરાંત લાલપુર રોડ પર પણ એક માયનોર બ્રિજનું કામ આગામી દિવસોમાં શરૂ થશે.
ત્યારે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં આશરે રૂપિયા 10 કરોડના ખર્ચે 8 થી 9 જેટલા માયનોર બ્રિજ બનતા ચોમાસામાં પાણીના પ્રવાહના કારણે આવા રસ્તાઓ બંધ થઈ જવાથી ગ્રામજનોને પડતી હાલાકી હવે દૂર થઈ જશે.