મૌન વિશે આ 15 શબ્દો તો વધારે પડતા કહેવાય! ચલો, મૌન થઈ જઈએ. એના વિશે હવે કશું બોલવું જ નથી. મૌન પોતે જ બોલશે. આપણે શા માટે બોલવું જોઈએ??? અને આપણે બોલીએ તો આપણે મૌન પાળ્યું છે એમ ગણી શકાય ખરું?
તેમ છતાં મૌનની મજા એ છે કે તેના વિશે જેટલું બોલવું હોય એટલું બોલી શકાય. પણ મન વિશે પણ જ્યાં સુધી આપણે કશું બોલીએ છીએ ત્યાં સુધી મૌન પાળ્યું છે એમ કહી શકાય નહીં.
અસલી મૌન તો પથ્થરો પાળે છે. તળાવની પાળ પાળે છે. વૃક્ષોની ડાળ પાળે છે વૃક્ષો પોતે પણ પાળે છે. જ્યાં સુધી મનુષ્યના મનના કરંડિયામાં વિચારોની હડિયાપાટીનું અસ્તિત્વ છે ત્યાં સુધી તે મૌન છે એમ કહી શકાય નહીં. ચાલો આપણે મૌન થઈ જઈએ. મૌન વિશે કશું બોલવું પણ નથી. વિચારવું પણ નથી. મૌનને જેટલી સ્વરાથી અને ત્વરાથી આપણી અંદર વિકસાવશો એટલી ઝડપથી અસ્તિત્વની સાદી સાદગીનો રણઝણાટ તમને સંભળાશે. અને એ સાંભળતા સાંભળતા આપણે સદીઓ સુધી કરેલા સુમધુર કલબલાટનો જામી ગયેલો ગઠ્ઠો ગુલાબનું ફૂલ થઈને ખીલી ઉઠશે. એની ખિલાવટમાં વીજળીના ચમકારની મહેક હશે અને બ્રહ્માંડના અદિઠ પ્રકાશનો ગડગડાટ હશે. આ ગડગડાટની મધ્યમાં એક જાંબુડીયા રંગનું ત્રિકોણાકાર મૌન હાંકોટા કરતું હશે. આ હાંકોટાને ચૂપચાપ સંકેલી લેવાનો છે. 1000 વર્ષ સુધી તેને હૃદયના અષ્ટકોણીય મલકાટની વચ્ચે એકદમ સાચવીને મૂકી દેવાનો છે. અને હજાર વર્ષ પછી જ્યારે આપણે મળીશું ત્યારે એમાં એક તોતિંગ સન્નાટાનું રંગીન દ્રાવણ ઉફાળા લેતું હશે. એમાંના એક ત્રિકોણાકાર હુંફાળાની ટોચ ઉપર આપણી ચુપકીદીનો બહુ જ ઊંચો પાયો લહેરાતો હશે. પણ એ વખતે પણ આપણે એના વિશે કશું જ બોલશું નહીં કારણ કે મૌનથી મજબૂત બીજી કોઈ ભાષા નથી. અને એટલે જ મૌન વિશે આપણે કશું જ બોલવું નથી.
ભૂલભૂલમાં બોલાઈ જાય તો પણ કશું બોલવું નથી. અરે એક શબ્દ પણ બોલવો નથી.
આપણે જાણીએ છીએ કે મૌન વિશે લોકો એક શબ્દ બોલે તો પણ એ એક પ્રકારનો બઘડાટીજનક કર્ણગમ્ય બકવાસ છે. એ બઘડાટીનું ટીપેટીપું આનંદના નયનગમ્ય રજકણોની ડાબલીઓ પેકોપેક ભરીને બેઠું હોય છે. એ ત્રિકોણ આકારના રજકણો સૂંઘવાથી ભલે લીલાશ પડતા શ્વેત રંગના માલુમ પડતા હોય પરંતુ ચાખવાથી તેમાં જાંબુડીયા રંગના સફેદ અંધકારનો અનુભવ થાય છે. અને એટલે જ મૌન વિશે આપણે કશું જ બોલવું નથી.
બોલી બોલીને બોલવા બેઠીએ તો બોલીએ પણ શું? મૌન વિશે બોલવા કરતા મૌન રહીને જ મૌનનો તીખો તમતમતો અને ગળ્યો ગમગમતો ગુંજારવ અનુભવી શકાય છે. એટલે મૌન વિશે બોલવા ધારો તો પણ તમે શું બોલી શકો? નથી બોલવું હવે કશું. બોલવા જેવું હવે કશું રહ્યું જ છે ક્યાં?
હા, એક જગ્યા છે કે જ્યાં મૌન વિશે હજારો વર્ષ સુધી બોલી શકાય છે. એ છે ત્રિકોણ આકારના પંચરંગી ધ્વનિનો બ્રહ્માંડમાં ઉડતો રંગીન હણહણાટ. પણ એના માટે પણ આપણે એકવાર મૌનની દુનિયામાં ધડાકાભેર પ્રવેશ કરવો પડે. એક કડાકાભડાકાનો ધ્વનિ શૂન્ય અવાજ આખાયે બ્રહ્માંડને એક જ ક્ષણમાં ઘેરી વળે છે. અને એ વખતે જે રંગીન ઝળહળાટ સંભળાય છે તે મૌન છે. એ મૌન વિશે તમે કરોડો વર્ષ સુધી બોલ્યા કરો તો પણ એના વિશે પૂરેપૂરું તો બોલી જ શકતા નથી અને અંતે તમારે ચૂપ થઈ જવું પડે છે તે પણ એક સહજ ભાવે પ્રાપ્ત થયેલું મૌન છે. મૌન વિશે બીજી ઘણી બધી બાબતો ફરી ક્યારેક સમજશું.
thegreatworld.in
