કુંજન રાડિયા, જામ ખંભાળિયા
ખંભાળિયા તાલુકાના માંઝા ગામના વાડી વિસ્તારમાં રહેતા એક ખેડૂતના 70 ફૂટ જેટલા ઊંડા કૂવામાં બે દિવસથી એક શિયાળ પડી જતાં ખેડૂત દ્વારા આ અંગે અહીં પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને જાણ કરવામાં આવતા સંસ્થા દ્વારા શિયાળનું સફળતાપૂર્વક રેસ્કયુ કરવામાં આવ્યું હતું.
ખંભાળિયા - ભાણવડ રોડ પર આવેલા માંઝા ગામના વાડી વિસ્તારમાં દિલીપભાઈ કારીયાની વાડીમાં એક શિયાળ બે દિવસથી પડ્યું હોવા અંગેની જાણ અહીંની પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં આવતા સંસ્થાના સભ્યો દેસુર ધમા, અશોકભાઈ સોલંકી, રવી વકાતર, મેહુલ યાજ્ઞિક, નાથા ભરવાડ અને અજુ સોઢા આ સ્થળે દોડી ગયા હતા અને કૂવામાં ઉતરીને લાંબી જહેમત બાદ આ શિયાળનું રેસ્ક્યુ કરીને તેનો બચાવ કરવામાં આવ્યો હતો.
(ફોટો:- કુંજન રાડિયા)





