
મૂકેશ પંડિત , મણાર
મણાર લોકશાળામાં ચતુર્વિધ કાર્યક્રમ યોજાઈ ગયો. ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા-મણાર ખાતે માતૃ પિતૃ વંદના ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ તેજસ્વી તારલાઓ અને રમતવીરોને ઇનામ વિતરણ તેમજ વાલી મિટિંગ નું ભાવસભર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ શાસ્ત્રોક્ત વિધિથી માતા-પિતાનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
કાર્યક્રમના મુખ્ય મહેમાન લોકભારતી સણોસરાના પ્રોફેસર વિશાલભાઈ જોશી અને નિયામક મેહુલભાઈ ભટ્ટ તેમજ ગોરધનભાઈ દિહોરા હાજર રહી વિદ્યાર્થીઓને નિષ્ઠા, વાંચન અને મનન દ્વારા જીવન ઘડતર કરવા પ્રેરણા આપી હતી. આચાર્ય ડાહ્યાભાઈ ડાંગરે તેમજ ગૃહપતિ વિપુલભાઈએ શાળાની શૈક્ષણિક અને રમતગમતની સિદ્ધિઓ વર્ણવી વાલીઓને બાળકોના પૌષ્ટિક આહાર પર ભાર મૂકવા અનુરોધ કર્યો હતો. આ તકે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું મહેમાનોનો આવકાર પરિચય કંચનબેન થડોદાએ કરાવેલ અને વિધાર્થીઓને શુભેચ્છાઓ વિનોદભાઈ વાઘેલાએ અને વિધાર્થી ભાઇઓ બહેનોએ પાઠવેલ અંતમાં લોકભારતી ના તાલીમાર્થી બહેનોએ તૈયાર કરાવેલ સાસ્કૃતિક કાર્યક્રમમાં વિધાર્થીની બહેનો દ્વારા તલવાર રાસ-ગરબાની રમઝટ બોલાવાઈ હતી. કાર્યક્રમ પૂર્ણ થતા આભાર વિધિ ભરતભાઈ દવેએ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનસુખભાઈ ગુજરિયાએ કર્યું હતું.
