રાજકોટ
ત્રાસવાદીઓ અને અસામાજીક તત્વો શહેરના વિસ્તારમાં આવેલા હોટલ, લોજ, બોર્ડીંગ, ઘર્મશાળા તથા મુસાફરખાનાઓમાં ગુપ્ત રીતે આશરો લેતા હોય છે. ભીડભાડવાળી જગ્યાની માહિતી મેળવી દેશ વિરોધી કૃત્યને અંજામ આપે છે. જે બાબતને ધ્યાનમાં લઈ રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ જાહેર કરેલા હુકમો મુજબ હોટલ, લોજ બોર્ડીંગ, ધર્મશાળા તથા મુસાફરખાના સહિતના માલીકોએ તેમને ત્યાં આશરો લેતા વ્યક્તિઓના રાજકોટના એસ.ઓ.જી શાખાની ઓફીસમાં રજિસ્ટ્રેશન કરાવી તેના યુઝર આઈ.ડી., પાસવર્ડ મેળવી લેવાના રહેશે. જે અંતર્ગત રોકાણ અર્થે આવેલ દરેક વ્યકિતની જાણ ૨૪ કલાકમાં ઓનલાઈન પોર્ટલ https://pathik.guru/ માં આશ્રય આપનાર માલીકને ફરજીયાતપણે કરવાની રહેશે. આ ઉપરાંત રોજબરોજની સમરી રીપોર્ટ અને મુસાફરના આઈ. ડી. પ્રુફની નકલ તથા સી ફોર્મની હાર્ડકોપી નિયમિત ધોરણે જનરેટ કરી અલાયદી ફાઈલ બનાવી રેકર્ડમાં રાખવાની રહેશે તથા વિદેશી નાગરિકોની ડેટા એન્ટ્રી પથીક અને FRRO MODULE (IVFRT) સૉફટવેરમાં કરવાની રહેશે. આ ઉપરાંત રોકાયેલા મુસાફરોની મુલાકાત માટે આવેલ ઈસમોના નામ, ફોન નં, અસલ ફોટો આઈ ડી, ચેક કરી નકલ ફાઇલ કરવાની રહેશે. મુસાફરોની તમામ માહિતી પથીક વેબપોર્ટલ પર કરવાની રહેશે.
વિદેશી મુલાકાતીનું બુકિંગ કરાવનારના નામ, સરનામા ફોન નં સહિતના અધિકૃત પુરાવા મેળવવા, વિદેશી કે પરપ્રાંતીય મુસાફરો કઈ જગ્યાએથી અને શા માટે રાજકોટ શહેરમાં ઉતર્યા છે તેની માહિતી મેળવી, તેમના નંબરની ખરાઈ કરી શંકાસ્પદ હીલચાલ જણાતા પોલીસ કંટ્રોલ રૂમને તેની જાણ કરવાની રહેશે. આ ઉપરાંત ત્રણ માસ સુધીના સી.સી.ટી.વી. ફુટેજ રાખવાના રહેશે. ટેકનોલોજીમાં આવેલ ખામીને કારણે જો એન્ટ્રી કરવામાં સમસ્યા સર્જાય તો તે અંગેની જાણ રાજકોટ એસ.ઓ.જીને કરવાની રહેશે. મુસાફરોના વાહનોની વિગતો પણ પથીક પોર્ટલમાં એંટ્રી કરવી. આ આદેશોનો અમલ તા. ૨૮/૨/૨૦૨૫ સુધી કરવાનો રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
28 ફેબ્રુઆરી સુધી આ પ્રકારનો અમલ થશે અને ત્યાર પછી બધું આડેધડ ચાલવા દેવામાં આવશે કે કેમ તે બાબતે કશું જણાવ્યું નથી.