કુંજન રાડિયા, જામ ખંભાળિયા
રાજ્યના યુવાનો આર્મીમાં ભરતી થઇ દેશસેવા અને રાષ્ટ્રહિતમાં પોતાનું યોગદાન આપે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા આર્મી, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરીદળો તથા પેરા મિલિટરી ફોર્સિસની ભરતી પૂર્વે શારીરિક અને માનસિક ક્ષમતા માટેની પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં મુકવામાં આવી છે. જે અંતગર્ત દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્રના નિર્માણના કાર્યમાં થાય તે માટે ફેબ્રુઆરી માસમાં 30 દિવસના નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તાલીમમાં જોડાવવા ઇચ્છતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ફક્ત પુરૂષ ઉમેદવારો પાસેથી જિલ્લા રોજગાર વિનિમય કચેરીને પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, બેંક પાસબુક, અધાર કાર્ડ, 2 પાસપોર્ટ સાઈઝના ફોટો સાથે તા. 15 જાન્યુઆરી સુધીમાં પહોંચાડી જવાના રહેશે. આ તાલીમવર્ગ દેવભૂમિ દ્વારકા ખાતે નિ:શુલ્ક (રહેવા-જમવાનો ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવશે.) યોજવામાં આવશે.
તાલીમમાં જોડાવવા માટેની શૈક્ષણિક લાયકાતમાં ધો. 10 માં 45 % સાથે અથવા ધો. 12 માં 50 % સાથે કોઈપણ પ્રવાહમાં પાસ કરેlaa હોવા જોઈએ. ઉમેદવારની ઉંમર 17.5 થી 23 વર્ષની હોવી જોઇએ. તાલીમ વર્ગનો સમયગાળો 30 દિવસ રહેશે. ઉમેદવારની શારીરિક યોગ્યતા ઉંચાઈ 162 સે.મી., વજન 50 કિલોગ્રામ, છાતી- ફુલાવ્યા વગર 77 સે.મી. અને ફુલાવેલ 82 સે.મી. હોવી જોઇએ. ઉમેદવારને શારીરિક યોગ્યતા માટે ઉંચાઈ, વજન, છાતી તથા શારીરિક કસોટીઓ જેવી કે દોડ, લાંબો કુદકો, પુલ અપ્સ વિગેરેની તાલીમ ભરતીને અનુરૂપ ફિઝીકલ તાલીમ આપવામાં આવશે.
અગાઉ નિવાસી તાલીમમાં જોડાયેલ ઉમેદવારો આ નિવાસી તાલીમમાં જોડાઈ શકશે નહિ. ઉમેદવારનું તાલીમ માટેનું ફાઈનલ સીલેક્શન સંરક્ષણ ક્ષેત્રના નક્કી કરેલા શારીરિક માપદંડ મુજબ કરવામાં આવશે. આ નિવાસી તાલીમવર્ગમાં આર્મીની પ્રથમ તબક્કાની લેખિત પરિક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરીની યાદીમાં જણાવાયું છે.