Friday June 20, 2025

અંતરની આંખે @ લાભુભાઈ સોનાણી > ટૂંકી વાર્તા > ઘોડાની માયાજાળ

લેખક: લાભુભાઈ સોનાણી “ઝગમગ”
જનરલ સેક્રેટરી
કે. કે. બ્લાઈન્ડ સ્કૂલ ભાવનગર


ટૂંકી વાર્તા
ઘોડાની માયાજાળ

એક રાજા હતો તે ખૂબ દયાળુ હતો. તેની પાસે એક સુંદર મજાનો ઘોડો હતો. રાજાને તેની વિના એક મિનીટ પણ ચાલતું ન હતુ. એક દિવસ ઘોડો ખૂબ માંદો પડી ગયો. રાજાનું બધું જ કામ અટકી ગયુ. રાજાએ દેશવિદેશના હકીમો બોલાવ્યા, કોઈની કારી ફાવી નહિ. રાજાએ ગામેગામના જાણકાર જોષી બોલાવ્યા, બધાએ જોસ જોઈ અનેક કહાનિઓ ઘડી રાજાને સંભળાવી દીધી. જાત-જાતની વાતો જાણી રાજા મૂંઝવણમાં પડી ગયો. કોની વાત માનવી ને કોની ન માનવી તે સમજાતું ન હતુ. અંતે રાજાએ ધર્મ-ગુરુની સલાહ લેવાનું નક્કી કર્યું. થોડી જ વારમાં રાજા ધર્મ-ગુરુ પાસે પહોંચી ગયો. ધર્મ-ગુરુ ખૂબ ઉંચા આસને બેઠા હતા. રાજાને અચાનક આવતો જોઈ ધર્મ-ગુરુ અચંબામાં પડી ગયા. તેણે તેના સેવકોને બોલાવી રાજાને પોતાની પાસે લઈ આવવા આદેશ કર્યો. રાજાએ સલામ ભરી ધર્મ-ગુરુને અચાનક આવવાનું કારણ જણાવ્યું પછી બધી જ વિગતે વાત સમજાવી. વાત સાંભળી ધર્મ-ગુરુએ ઘોડાના ઈલાજ માટે એક જડીબૂટી આપી. તેને પાણી સાથે ઘોડાને આપવા સુચના આપી રાજાને રવાના કર્યો. તેના સેવનથી ઘોડો માત્ર દસ મિનીટમાં મૄત્યું પામ્યો. રાજા આકુળવ્યાકુળ થતો ધર્મ-ગુરુ પાસે પહોંચી ગયો. ગુરુજી જડીબૂટીના સેવનથી મારો ઘોડો સાજો થવાના બદલે મૄત્યુ પામ્યો છે. ગુરુજી આવી ગડબડ કેમ થઈ ગઈ? તમે આ શું કર્યું તે સમજાતુ નથી. હવે હું મારું કામ શી રીતે કરી શકીશ? હું તો ઘોડા વિના મારું એક પણ કામ જાતે કરી શકતો નથી. ગુરુજી હું લૂંટાઈ ગયો.
હવે આંખ વગરના આંસું ક્યાં જઈ વસશે? હું રાજના કામ કેવી રીતે કરીશ! ઘોડા વિના હું મારા ગંતવ્ય સ્થળ સુધી કેમ કરી પહોંચીશ?
જવાબમાં ધર્મ-ગુરુએ ખટ હાસ્ય વેર્યું. તેનાથી વાતાવરણમાં અવાજનું ઘોંઘાટી મોજુ ફરીવળ્યું.
હૈયાના ઝરુખે બેસી રાજા રૂદન કરે,
લાગણીના બિંદુ બની આંખે આંસુ ખરે,
ક્રોધના પાના ખોલી શબ્દ અક્ષર ખોળે,
ભાવ-વગરનું મુખડું રાખી રાજા ચોમેર ફરે.
હુકમનો હલેસો મારી સિપાઈને હાજર કરે,
ગુરુ ચેલા ભેળા મળી જુકી સલામ ભરે.
ભરી સભામાં બેસી રાજા બાબત હાથ ધરે,
ઉત્તર એનો શોધી લાવવા હુકમ વહેતો કરે.
કેમ ઘોડો મરણ પામે એનો ઉકેલ જડે.
રાજા પુછે પ્રશ્ન ગુરુને ઘોડા વિના કેમ રાજ ચાલે?
ઉંધા અવશધ આપી તમે કેમ કર્યો છે કોપ?
એનો ગુરુજી થોડો કરો આજે તમે ચોખ.
વિચારોના વાદળ વચ્ચે ગુરુ ભેદ ખોલે,
ઘોડો તારું સર્વ લૂંટી કંગાળ તને કરે.
પછી નમાલો થયેલો રાજા દોસ્ત કેમ રાજ કરે?

આ રાજા એટલે એક વખતનો પૄથ્વીનો પાલક રાજા મનુ હતો. તે ઘણો બાહોશ રાજા હતો, ઈચ્છા તેનો પાણીદાર ઘોડો હતો. સમય અર્થાત વખત બાપુ આપણા સૌના લાડીલા ધર્મ-ગુરુ છે. તે મને અને તમને દોરવણી આપે છે. કોઈવાર તે જીવનનો પાઠ શીખવવા ગમતું રમકડું જુટવી લે છે. જેમ રાજાનો ઘોડો જુટવી લીધો. સમયરૂપી ગુરુને હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ એમ છ શિષ્યો છે. વખત બાપુ ધર્મ-ગુરુ હોવાથી બધો ઉકેલ કરી આપે છે. મનુ નામનો રાજા પણ ઘોડાની બીમારીનો ઇલાજ શોધવા ધર્મ-ગુરુના શરણે ગયો હતો. પણ ઉકેલ મળવાના બદલે રાજાને ઘોડો ગુમાવવો પડ્યો હતો. માણસ ધારે કંઈ ને પામે કંઈ એનું નામ સમય છે. જ્યારે તમારો સમય નથી હોતો ત્યારે તમારા બધા જ પાસાં ઉલ્ટા પડે છે. પણ જો સમય તમારો હોય તો ઉલ્ટી બાજી સવળી ગોઠવાઈ જાય છે. તમારી હાર પણ જીતમાં ફેરવાઈ જાય છે. સમય એ ઈશ્વરનો સોફ્ટવેર છે.
ગુરુજી રાજાને સમજાવતા સંસાર રહસ્યનો ભેદ ખોલે છે. માણસનું મન રાજા છે, ઈચ્છા માણસના મનનો ઘોડો છે. તેની સવારી આપણને ફાવી જાય છે. તેના વગર આપણે જીવી શકતા નથી. ઈચ્છા મનનો કબજો લઈ લે છે. આ સંસારમાં હરતા-ફરતા-જીવતા માણસનું મન રાજા છે, ઈચ્છા તેનું વાહન છે. ઈચ્છાનું તથ્ય તેનું રૂપ છે. ધર્મ-ગુરુ આગળ કહે છે કોઈ જાણતું નથી કે વસંતના રૂપ પાછળ પાનખરના ગુણ કારણભૂત છે. શિશિર દેખાવે ભલે વસંત જેવી કામણગારી લાગતી નથી. પણ ગુણે ઘણી ગરવી છે, ગ્રીષ્મ ઉકળાટ વેરી વાદળ બાંધે છે, ત્યારે વરસાદ પડે છે. નરી આંખે દેખાતો વર્ષાનો વૈભવ ગ્રીષ્મના ઉકળાટનું પરીણામ છે.
ઈચ્છાનો ઘોડો વૈભવી પ્રદેશમાં મનને ઘસડી જાય છે. ધીરે ધીરે એ યાત્રા આપણા કોઠે પડી જાય છે. એના વગર આપણને ફાવતુ નથી. ઈચ્છાની પીઠ આપણી ગાદી બની જાય છે. જેમ આ વાર્તાનો નાયક રાજા ઘોડા પાછળ ગાંડો થયો હતો. તેમ માણસનું મન પણ ઈચ્છા-રૂપી ઘોડાનું દાસ બની જાય છે. બધુ સલામત લાગે તેવી યાત્રા આપણું પતન સર્જે છે. દેખિતુ સુખ ભાવી સમસ્યાનું કારણ હોય છે. બીજી બાજુ કોઈપણ સમસ્યા જીવનની પગદંડી બની તમને સહાય કરવા આવે છે. તે તમને સફળતાના શીખર સુધી દોરી જાય છે. ઈશ્વરની રમકડાની ટોપલીનું માણસ પઝલ નામનું રમકડું છે. જેમ પઝલની રમત ચાલે તેમ માણસે પણ રમવું પડે છે. સુખ કે દુખ આપણી ભ્રમણા છે. ઈશ્વર માટે તે એક રમત કરતા વિશેષ કંઈ નથી. ઈચ્છા આપણને પગવાળી બેસવા દેતી નથી. બીજાના હીતની ઈચ્છા ઘોડાની તંદુરસ્તી સુચવે છે. તેના ઈલાજ માટે હકીમ, જોષી કે કોઈ ધર્મ-ગુરુની જરૂર નથી.
“માનવતાના મુલકને મોજે માણી લે,
ઈશ્વરના અનોખા જગને ઝગમગ પ્રેમે જાણી લે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top