જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૬
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ડિવિઝનમાંથી કાર્યરત ચાર જોડી મુખ્ય એક્સપ્રેસ ટ્રેનોમાં જનરલ (સામાન્ય શ્રેણી) કોચની સંખ્યામાં કાયમી વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે.
જેમાં ઓખા-શાલીમાર-ઓખા એક્સપ્રેસ (22905/22906) ટ્રેનમાં જનરલ કોચની સંખ્યા 3 થી વધારીને 4 કરવામાં આવી છે. આ વ્યવસ્થા ઓખાથી 26 એપ્રિલ અને શાલીમારથી 28 એપ્રિલથી અમલી બનશે.
આ સાથે પોરબંદર-શાલીમાર-પોરબંદર એક્સપ્રેસ (12905/12906) ટ્રેનમાં પણ જનરલ કોચ 3 થી વધીને 4 થશે. પોરબંદરથી 29 એપ્રિલ અને શાલીમારથી 1 મે 2026 થી આ સુવિધા અમલી બનશે.
પોરબંદર-સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ (20968/20967) ટ્રેનમાં સામાન્ય શ્રેણીના કોચની સંખ્યા 3 થી વધારીને 4 કરવામાં આવી રહી છે. આ ફેરફાર પોરબંદરથી 28 એપ્રિલ અને સિકંદરાબાદથી 29 એપ્રિલથી અમલી બનશે.
પોરબંદર-સાંતરાગાછી-પોરબંદર એક્સપ્રેસ (12949/12950) ટ્રેનમાં જનરલ કોચની સંખ્યા 2 થી સીધી વધારીને 4 કરવામાં આવી છે. આ સુવિધા પોરબંદરથી 1 મે અને સાંતરાગાછીથી 3 મે થી અમલી બનશે. આ પહેલથી ખાસ કરીને સામાન્ય શ્રેણીમાં મુસાફરી કરતા મુસાફરોને મોટી રાહત મળશે અને મુસાફરી વધુ સુલભ અને આરામદાયક બનશે. ઉપરાંત અનરિઝર્વ્ડ (સામાન્ય) ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરોને વધારાની જગ્યા મળશે અને લાંબા અંતરની મુસાફરી વધુ સરળ બનશે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
