મુકેશ પંડિત, ગાંધીનગર
ગાંધીનગરના કલોલ સ્થિત પંચવટી વિસ્તારમાં શ્રીરામ દૂત હનુમાનજીના સાનિધ્યમાં પૂજ્ય રામેશ્વર બાપુના મુખેથી રામકથાનો ભવ્ય પ્રારંભ થયો છે. કથાના પ્રથમ દિવસે નીકળેલી દિવ્ય પોથી યાત્રામાં વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. પૂજ્ય બાપુએ કથાના પ્રારંભમાં જણાવ્યું હતું કે, રામચરિત માનસમાં તુલસીદાસજીએ સરસ્વતી અને ગણપતિની વંદના દ્વારા વાણી અને જ્ઞાનના સમન્વયનો મહિમા સમજાવ્યો છે. જ્ઞાન વગરની વાણી અને વાણી વગરનું જ્ઞાન સમાજ માટે અધૂરું છે, માટે બંનેનું સંતુલન અનિવાર્ય છે.
વધુમાં બાપુએ સમજાવ્યું કે ભગવાન શંકર એ વિશ્વાસનો વડલો છે અને શ્રદ્ધા અચલ હોવી જોઈએ. ગુરુ મહિમાનું વર્ણન કરતા તેમણે ઉમેર્યું કે, પરમાત્માને પામવા માટે જપ-તપની જરૂર પડે છે, પરંતુ સદગુરુ તો માત્ર નિઃસ્વાર્થ પ્રેમથી જ પ્રાપ્ત થાય છે. ગુરુના ચરણોની રજ એ ભવસાગર તરવા માટેની શ્રેષ્ઠ ઔષધિ છે, જે મનુષ્યની દ્રષ્ટિ શુદ્ધ કરી સમગ્ર જગતમાં ઈશ્વરના દર્શન કરાવે છે. આ આધ્યાત્મિક જ્ઞાનગંગાનો લાભ લેવા કલોલની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉમટી રહી છે.
