– તબીબી સારવાર બાદ દ્વારકાધીશના દર્શન કરાવાયા –
જામ ખંભાળિયા, તા. ૦૨-૦૩-૨૦૨૬
દ્વારકા ફુલડોલ ઉત્સવ બનાવવા માટે ફક્ત ગુજરાતના જ નહીં, પરંતુ દેશના અન્ય પ્રાંતના શ્રદ્ધાળુઓ પણ અહીં હોંશભેર આવે છે. ત્યારે કેરળથી ખાસ ટ્રેન મારફતે દ્વારકા દર્શન કરવા માટે 400 જેટલા શ્રદ્ધાળુઓનો સંઘ આવ્યો હતો. આ સંઘમાં રહેલા 76 વર્ષના એક વૃધ્ધ મહિલાની તબિયત આજરોજ અચાનક લથડતા આને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા અને મંદિર સુરક્ષાના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ દ્વારા તાત્કાલિક ખાનગી વાહન મારફતે આ વૃદ્ધાને દ્વારકાની હોસ્પિટલમાં લઈ જઈ અને જરૂરી સારવાર અપાવવામાં આવી હતી.


અહીં તેમની તબિયત સ્વસ્થ જણાતા તેમણે દ્વારકાધીશના દર્શન કરવાની મહેચ્છા વ્યક્ત કરી હતી. આથી પોલીસ સ્ટાફ દ્વારા આ વૃદ્ધ શ્રદ્ધાળુ મહિલા તેમજ તેમની સાથે રહેલા પરિવારજનોને લઈ ભગવાન દ્વારકાધીશના દર્શન કરાવવામાં આવ્યા હતા.
આમ, દૂરના વિસ્તારમાંથી આવેલા યાત્રિકોને પોલીસ દ્વારા ફક્ત સુરક્ષા કે દર્શન વ્યવસ્થા જ નહીં, પરંતુ જરૂર પડ્યે મુશ્કેલીમાં પરિવારજન જેવી અનુભૂતિ કરાવતા કેરળના શ્રદ્ધાળુ યાત્રાળુઓએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
(ફોટો: કુંજન રાડિયા)
