Saturday June 21, 2025

ખંભાળિયાના ધંધુસર ગામે ખેડૂતો સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ

ખંભાળિયાના ધંધુસર ગામે ખેડૂતો સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ

  • સ્વસ્થ ભવિષ્ય માટે પ્રાકૃતિક કૃષિ અનિવાર્ય છે : રાજ્યપાલ દેવવ્રતજી
  • ધરતીપુત્રોને રાસાયણિક કૃષિનો ત્યાગ કરી પ્રાકૃતિક કૃષિ અપનાવવાનું આહ્વાન કરતાં રાજ્યપાલ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા

 ખંભાળિયા તાલુકાના ધંધુસર ગામે આજરોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. 
  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ધરતીપુત્રો સાથે સંવાદ કરતાં જણાવ્યું હતું કે, માનવજીવનનું સૌથી કિંમતી અંગ મનુષ્યનું મગજ છે, જેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થવો જોઈએ. ગુજરાતમાં 10 લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થયા છે. ઉત્પાદન ઘટી જશે તેવા ડરથી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં ખચકાટ અનુભવે છે, પરંતુ પ્રાકૃતિક કૃષિથી રાસાયણિક ખેતી કરતાં પણ વધુ ઉપજ મેળવવી શક્ય છે. જેના ઉદાહરણ રૂપે તેમણે હરિયાણામાં પોતાના ખેતર વિશેના અનુભવને વિગતવાર વર્ણવીને ખેડૂતોને પ્રેરિત કર્યાં હતાં. 
 તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોના ઉત્કર્ષ માટે ખેતીનો ખર્ચ ઓછો થાય તે જરૂરી છે, તે માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. મોંઘા ખાતર અને બિયારણના ઉપયોગને પરિણામે ખેતીનો ખર્ચ વધી જાય છે. તેને લીધે જમીનના પોષકતત્ત્વો નાશ પામે છે. ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગને લીધે ખેતીની જમીન પણ એકદમ સખત થઈ જાય છે, જેને લીધે ખેતરમાં-જમીનમાં પાણી ઉતરતું નથી. ઉપરની માટીનું ધોવાણ થાય છે. જંતુનાશકો અને ખાતરોના વધુ પડતા ઉપયોગને લીધે ખેડૂતોના મિત્ર એવા અળસિયા અને કીટકો નાશ પામે છે. અળસીયા એ મજૂરી ન માંગે તેવા મજૂર છે અને પરમાત્માના ધરતીપુત્રોને આશીર્વાદ છે. પરંતુ તેનો જ નાશ આપણે રાસાયણિક ખેતી દ્વારા કરી રહ્યા છીએ.
  જો આપણે સારૂ સ્વાસ્થ્ય જાળવવું હશે તો સ્વાસ્થ્યપ્રદ ખોરાક લેવો પડશે. સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદન પ્રાકૃતિક કૃષિ દ્વારા જ પ્રાપ્ત થશે. જંગલમાં જે વૃક્ષો હોય છે, તેમાં તમામ પ્રકારના ખનીજ તત્વો હોય છે. કુદરતી રીતે જ તેમાં તમામ પ્રકારના તત્વો ઉમેરાય છે. આ જ પ્રકારના તત્વો આપણી ખેતીમાં અને આપણા ખેત ઉત્પાદનમાં ઉમેરાય તે અંગેનું અભિયાન આપણે ચલાવી રહ્યાં છીએ. આ પ્રાકૃતિક કૃષિથી જ આપણી જમીનની ફળદ્રુપતા ટકી શકશે તેવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
    પ્રકૃતિની ગોદમાં પ્રાકૃતિક ખેતી વિશે વાત કરવાનો અવસર આપવા બદલ રાજ્યપાલે જિલ્લા વહીવટી તંત્રની સરાહના કરી હતી.
   આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ખેડૂતોને સંબોધતાં જણાવ્યું હતું કે, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સમગ્ર રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા તરફ પ્રેરિત થાય તે માટે અભિયાન ચલાવી રહ્યા છે. પ્રાકૃતિક ખેત પેદાશો આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે. ઘણા ધરતીપુત્રો આજે પ્રાકૃતિક કૃષિ કરી અન્ય ખેડૂતોને આ માટે પ્રેરિત કરી રહ્યા છે.
     પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર વિક્રમસિંહ ચૌહાણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અંગેની કામગીરીની માહિતી આપી હતી. રાજ્યપાલ દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિના વિવિધ ઉત્પાદનોના સ્ટોલનું નિરીક્ષણ કરી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરી ખેતરમાં વાવેતર કરવામાં આવેલા વિવિધ પાકો ડ્રેગન ફ્રુટ, પપૈયા વગેરેનું નિરીક્ષણ કરીને ઉપજની માવજત માટે ખેડૂત રામભાઈ આંબલીયાની સરાહના કરી હતી, તેમજ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યું હતું. 
    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 9688 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી અપનાવવામાં આવી છે. ગત વર્ષે જિલ્લામાં બે તબક્કામાં કુલ 780 તાલીમનું આયોજન કરી 31,649 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અપાઈ છે. 
 આ કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં કલેક્ટર એ.બી. પાંડોર, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.એન. ડઢાણીયા, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, પી.એસ. જાડેજા સહિત અધિકારીઓ, કર્મચારીઓ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top