
– 98 વર્ષના રઘુવંશી વડીલે કર્યા છે અનેકવિધ અનુદાન –
જામ ખંભાળિયા, તા. ૧૧-૪-૨૦૨૫
ખંભાળિયાની જૂની પેઢીના પીઢ સેવાભાવી દાતા સદગૃહસ્થ મુળજીભાઈ વલ્લભદાસ પાબારી કે જેઓ સમાજ માટે કંઈક કરી છૂટવાની ઉમદા ભાવના ધરાવે છે, તેઓ અત્યાર સુધી ખૂબ મોટી રકમના અનુદાન આપી ચૂક્યા છે. આવા વડીલ મુળજીભાઈ પાબારી આજે 97 વર્ષ પૂર્ણ કરી 98 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે.
તારીખ 11 એપ્રિલ એપ્રિલ 1928 ના દિને જામ ખંભાળિયામાં જન્મેલા મુળજીભાઈ પાબારી વર્ષો સુધી ખંભાળિયામાં રહી અને ત્યાર બાદ દાયકાઓ દરમિયાન મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવી, ત્યાં સ્થાયી થયા બાદ હાલ તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી જામ ખંભાળિયામાં જ નિવાસ કરે છે.
નિયમિત રીતે વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરતા શેઠ મુળજીભાઈ પાબારીએ 30-04-1987 ના રોજ તેમના સ્વર્ગસ્થ પુત્ર મેહુલની સાથે સર્વ જ્ઞાતિબંધુઓ સાથે 51 જેટલા બટુકોને ખંભાળિયામાં યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરવાનો ભવ્ય કાર્યક્રમ ભાગવતાચાર્ય પૂ. કરુણાશંકર શાસ્ત્રીજીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. સોલા વિદ્યાપીઠના સ્થાપક ભાગવતાચાર્ય પૂજ્ય કરુણાશંકર શાસ્ત્રીજીના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહનું પણ ભવ્ય આયોજન ખંભાળિયાની જુની લોહાણા મહાજન વાડી ખાતે કરાયું હતું.
છેલ્લા પાંચેક વર્ષથી તેમના દ્વારા રઘુવંશી જ્ઞાતિના જરૂરીયાતમંદ એવા 100 થી વધુ કાર્ડ ધારકોને જલારામ અન્નપૂર્ણા ગૃહના નેજા હેઠળ વિવિધ તહેવારોના દિવસોમાં અનાજ, કઠોળ વિગેરે સાથેની સંપૂર્ણ કીટ આપવામાં આવે છે. તેમની આ સેવા આજીવન ચાલુ રહે તે માટે ઉપરોક્ત સંસ્થાને તેમના દ્વારા માતબર રકમ એફ.ડી. સ્વરૂપે એડવાન્સમાં આપી દેવામાં આવી છે.
આ ઉપરાંત અહીંની જૂની લોહાણા મહાજન વાડી ખાતે અધ્યતન એ.સી. હોલ તેમજ પહેલા માળે તેમના પિતાશ્રી સ્વ. વલ્લભદાસ વિશ્રામ પાબારી અને ધર્મપત્ની ભારતીબેન તથા સ્વ. પુત્ર મેહુલની સ્મૃતિમાં નોંધપાત્ર રકમનું અનુદાન આપવામાં આવ્યું છે.
ખંભાળિયા શહેરમાં સૌપ્રથમ વખત બ્રહ્મ 84 જમણવારનું પણ સુંદર આયોજન તેમના સહયોગથી કરાયું હતું.
મુંબઈના પોસ વિસ્તાર કાલબાદેવી રોડ ઉપર તેમણે વર્ષો સુધી વ્યવસાય કરી અને સારી એવી ખ્યાતિ મેળવી હતી અને ત્યાર બાદ છેલ્લા આશરે એકાદ દાયકાથી તેમણે પોતાના વતન ખંભાળિયાને જ પોતાનું કાયમી રહેણાંક બનાવી દીધું છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે પણ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.
98 વર્ષની જૈફ વયે પણ તેઓ સારું સ્વાસ્થ્ય ધરાવે છે. અને તમામ પોતાના તમામ દૈનિક કાર્યો સ્વૈચ્છિક રીતે કરી શકે છે. ખંભાળિયામાં આવેલું તેમનું નિવાસસ્થાન આગામી સમયમાં તેઓએ શૈક્ષણિક હેતુ માટે દાનમાં અર્પણ કરી દીધાનું પણ જાણવા મળ્યું છે.
આવા ઉચ્ચ કોટીના પીઢ, સેવાભાવી, દાતા સદગૃહસ્થ મુળજીભાઈ પાબારી રઘુવંશી સમાજનું ખરા અર્થમાં ગૌરવ બની રહ્યા છે. તેમના મોબાઈલ નંબર 93214 65529 છે.
(ફોટો:- કુંજન રાડિયા)