ખંભાળિયાની મેઈન બજારમાં બે આખલાઓ વચ્ચે ખેલાયું યુદ્ધ: દોડધામ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૫
ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ અવિરત છે. ત્યારે ગઈકાલે અહીંની મેઈન બજારમાં બે મજબૂત આખલાઓ વચ્ચે ખેલાયેલા યુદ્ધથી આ વિસ્તારના વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.
ખંભાળિયા શહેરની મધ્યમાં આવેલી મેઈન બજાર – દરબારગઢ માં ગાય તથા આખલાઓનો અવિરત રીતે મુકામ રહે છે. ત્યારે ગઈકાલે ગુરુવારે સાંજે બે આખલાઓ બાખડતા આ વિસ્તારમાં થોડો સમય નાશભાગ મચી જવા પામી હતી. બાખડી રહેલા આ બંને આખલાઓને છૂટા પાડવા વેપારીઓએ પાણીનો છંટકાવ પણ કર્યો હતો. આ બનાવથી આ વિસ્તારના વેપારીઓ તથા રાહદારીઓમાં ભયના માહોલ સાથે દોડધામ મચી જવા પામી હતી.

(ફોટો:- મિલન કોટેચા)