
– એનિમલ ચેરીટેબલ તેમજ આઈ બેલી ગ્રુપ દ્વારા આયોજન –
જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫
ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા દ્વારા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ તથા આઈ બેલી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આગામી શુક્રવાર તારીખ 18 થી તા. 24 એપ્રિલ સુધી ખંભાળિયા – જામનગર હાઈવે પર શ્રી આઈ બેલી આવળ માતાજીના મંદિરના વિશાળ પટાંગણમાં ગૌ સેવાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ખંભાળિયા વિસ્તારની અંધ, અપંગ અને નિરાધાર ગાયોની સેવા તેમજ સર્વે પિતૃઓના મોક્ષાર્થે યોજવામાં આવેલી આ ભાગવત સપ્તાહમાં જાણીતા કથાકાર શ્રી જીવણભગત બિરાજીને કથામૃતનું રસપાન કરાવશે. આ સાથે પૂજા વિધિ અને યજ્ઞના આચાર્ય પદે શ્રી કૃણાલ અદા રહેશે.
ભાગવત સપ્તાહના આ આયોજનમાં શનિવારે પરીક્ષિત જન્મ, રવિવારે નૃસિંહ પ્રાગટ્ય, સોમવારે કૃષ્ણ જન્મ અને રામ જન્મ તેમજ બુધવારે રુક્ષ્મણી વિવાહ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
આ સપ્તાહ દરમિયાન મંગળવાર તા. 23 ના રોજ શહીદ પરિવાર, માજી સૈનિક ગૌસેવકોનું સન્માન કરવામાં આવશે. આ પ્રસંગે દરરોજ સવારે 9:30 થી 12:30 તેમજ સાંજે 3:30 થી 6:30 સુધી કથા શ્રવણનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)