Friday June 20, 2025

ખંભાળિયામાં યુવતી પર છરી વડે જીવલેણ હુમલો કરવાના ગુનાના ત્રણેય આરોપીઓ ઝડપાયા

ધરાર પ્રેમ સંબંધ રાખવાનું કહી યુવાને કર્યો હતો હુમલો

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૫

         ખંભાળિયામાં રહેતી એક યુવતી પર ગત સપ્તાહમાં એક યુવાન દ્વારા પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવાનું દબાણ કરી, યુવતીએ ના કહેતા તેણી ઉપર છરી વડે જીવલેણ હુમલો કરવાના ગુનામાં ઉપરોક્ત યુવાન તેમજ તેના ભાઈ અને પિતાની પોલીસે અટકાયત કરી લીધી છે. 

         ખંભાળિયા શહેરમાં ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગત મુજબ ખંભાળિયામાં રહેતી 23 વર્ષની એક યુવતીને અહીંના સંજયનગર વિસ્તારમાં રહેતા વિશાલ ઉર્ફે વિશલો સોમાભાઈ પારીયા નામના 27 વર્ષના શખ્સ દ્વારા પોતાની સાથે પ્રેમ સંબંધ કેળવવા માટે અવારનવાર દબાણ કરવામાં આવતું હતું. આ રીતે બળજબરીપૂર્વક પ્રેમ સંબંધ રાખવાની ધમકી આપતા યુવતીએ તેની સંબંધ રાખવાની ના કહી દીધી હતી. આથી ઉશ્કેરાયેલા વિશાલ ઉર્ફે વિશલો પારીયાએ ગત ગુરુવારે રાત્રિના સમયે તેણીને માર્ગમાં રોકી અને છરીના આડેધડ ઘા તેનીના શરીરના જુદા જુદા ભાગોમાં ઝીંકી દીધા હતા. આટલું જ નહીં, આ પ્રકરણમાં આરોપી વિશાલના પિતા સોમા પેથા પારીયા અને ભાઈ ખેંગાર ઉર્ફે વિનોદ સોમા પારીયાએ પણ જો તેણી પોલીસ ફરિયાદ કરશે તો તેણીને જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હતી.

          આ ચર્ચાસ્પદ પ્રકરણમાં પોલીસે ઇજાગ્રસ્ત યુવતીની ફરિયાદ પરથી ધરાર પ્રેમી સહિત ત્રણેય શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.

        આ ગુના સંદર્ભે અહીંના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા પોલીસ મથકના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી સઘન તપાસ તેમજ આ પ્રકરણમાં જુદા જુદા સ્થળોએ સી.સી. ટી.વી. ફૂટેજની ચકાસણી ઉપરાંત ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી સર્વેલન્સ સ્ટાફના યોગરાજસિંહ ઝાલા, કાનાભાઈ લુણા તથા અરજણભાઈ આંબલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ પ્રકરણના આરોપી વિશાલ ઉર્ફે વિસલો સોમા પારીયા (ઉ.વ. 27), સોમા પેથા પારીયા (ઉ.વ. 50) અને ખેંગાર પૂર્વે વિનોદ સોમા પારીયા (ઉ.વ. 25) નામના ત્રણેય શખ્સોની અટકાયત કરી, આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

        આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. બી.જે. સરવૈયા, પી.એસ.આઈ. ડી.એ. વાળા, આઈ.આઈ. નોયડા, દિવ્યરાજસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા, કાનાભાઈ લુણા, અરજણભાઈ આંબલીયા, હમીરભાઈ ચાવડા અને યોગેશભાઈ ગોજીયા દ્વારા કરવામાં આવી હતી.

____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top