Friday June 20, 2025

ખંભાળિયા પાલિકાની જગ્યામાં રહેલા મકાનમાં તોડપાડ ન કરવા અંગે વચગાળાના મનાઈ હુકમની અરજી નામંજૂર

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫

        ખંભાળિયા શહેરમાં નગરપાલિકાની હદમાં રેલવે સ્ટેશન નજીકના વિસ્તારમાં આવેલી વોર્ડ નંબર 5 માં આશરે 125 ચોરસ મીટર જેટલી જગ્યામાં ફાતમાબેન આદમ અને હસીનાબેન આદમ સંઘાર દ્વારા મકાન બનાવીને વર્ષ 1988-89 ની પહેલાની સાલથી તેમના પરિવાર સાથે રહેતા હતા. ઉપરોક્ત ચોક્કસ સર્વે નંબરની જગ્યા પર ગેરકાયદેસર રીતે મકાન બનાવીને આ જગ્યાનો કબજો જમાવી રાખ્યો હતો. જેથી ખંભાળિયા નગરપાલિકા દ્વારા તાજેતરમાં ઉપરોક્ત આસામીઓને નોટીસ આપતા આ અન્વયે ફાતમાબેન આદમ અને હસીનાબેન આદમએ ખંભાળિયાની સિવિલ કોર્ટમાં ખંભાળિયા નગરપાલિકા વિગેરે સામેનો એડવર્સ પાઝેશન અંગેનો દાવો દાખલ કરી અને વાદગ્રસ્ત જમીન મકાનમાં તોડપાડ ન કરવા કે અહીં અડચણ ન કરવા તેમજ યથાવત પરિસ્થિતિ જાળવી રાખવા ખંભાળિયા નગરપાલિકા સામે વચગાળાના મનાય હુકમની માંગણી કરવામાં આવી હતી. 

        ઉપરોક્ત મહિલાઓ પાસે આ જગ્યા અંગેના કોઈ પૂરતા આધાર પુરાવા ન હોય અને માત્ર નગરપાલિકાનો વેરો ભરતા હતા અને ઈલેક્ટ્રીક મીટર ધરાવતા હતા. પરંતુ માત્ર વેરો ભરવાથી, વીજ જોડાણ મેળવવાથી કે કોઈ જગ્યા પર વર્ષોથી વસવાટ કરતા હોવાથી માલિકી હક પ્રાપ્ત થતો નથી તેવી દલીલ ખંભાળિયા નગરપાલિકા વતી તેમના વકીલ જીતેન્દ્રભાઈ કે. હિંડોચા દ્વારા કરવામાં આવતા આ સમગ્ર પ્રકરણ સંદર્ભે અહીંના સિવિલ જજ શ્રી એમ.આર. શુક્લા દ્વારા ઉપરોક્ત દલીલોને ગ્રાહ્ય રાખીને વાદી ફાતમાબેન આદમ અને હસીનાબેન આદમ સંઘારની વચગાળાની મનાઈ હુકમની અરજી નામંજૂર (રદ) કરી હતી.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top