
જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫
ખંભાળિયા પોલીસ મથકમાં સ્થાનિક પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા સાથે વિવિધ પ્રકારના સેવાકાર્યો પણ કરવામાં આવે છે. ત્યારે ખંભાળિયા પંથકમાં કેટલાક આસામીઓના સમયાંતરે ગુમ થયેલા મોબાઈલ ફોન સંદર્ભે પોલીસે જરૂરી કાર્યવાહી કરી, અને રૂપિયા દોઢ લાખની કિંમતના જુદા જુદા ફોન તેના મૂળ માલિકને પરત અપાવ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકામાં ખોવાયેલા તેમજ ગુમ થયેલા કે ચોરી થયેલા મોબાઈલ ફોન કે ચીજ વસ્તુઓ સંદર્ભે અહીંના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ દ્વારા આપવામાં આવેલી સૂચના અને માર્ગદર્શન મુજબ અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરી, અને જરૂરી એપ્લિકેશનનો ઉપયોગ કરીને આ વિસ્તારના જુદા જુદા 10 આસામીઓના ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી આપવામાં આવ્યા હતા.
ખંભાળિયા પોલીસ મથકના કોન્સ્ટેબલ કાનાભાઈ લુણા, હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા તેમજ કાજલબેન કોબિયા દ્વારા જરૂરી કાર્યવાહી કરીને રૂપિયા દોઢ લાખની કિંમતના 10 મોબાઈલ ફોન શોધી કાઢી અને તેના મૂળ માલિકને સોંપવામાં આવ્યા હતા.
ખંભાળિયા પોલીસના સૂત્ર “તેરા તુજકો અર્પણ” ને સાર્થક થતા કિંમતી ફોન પરત મેળવીને જે-તે આસામીઓએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

(ફોટો:- કુંજન રાડિયા)