
– દાયકાઓ જૂની શૈક્ષણિક સંસ્થામાં યોજાયો અવિસ્મરણીય કાર્યક્રમ –
– પીઢ બની ચૂકેલા પૂર્વ વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીકાળની યાદો તાજા કરી –
જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૫
ખંભાળિયા પંથકમાં શૈક્ષણિક ક્ષેત્રે પ્રથમ હરોળનું નામ ધરાવતી શ્રી સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ શાળામાં શનિવાર તેમજ રવિવારે બે દિવસીય પૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ સારસ્વત સ્મૃતિ મિલન કાર્યક્રમમાં છેલ્લા આશરે પાંચ દાયકા દરમિયાન અભ્યાસ કરી ચૂકેલા પૂર્વ વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શાળા સાથે સંકળાયેલી તેમની યાદોને તાજા કરી હતી.
ખંભાળિયામાં પોર ગેઈટ વિસ્તારમાં આવેલી અને હાલ આશરે 3000 જેટલા વિદ્યાર્થીઓના ભાવિનું ઘડતર કરી રહેલી આશરે 54 વર્ષ જૂની શૈક્ષણિક સંસ્થા શ્રી સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શાળામાં અભ્યાસ કરી ચૂકેલા પૂર્વ વિદ્યાર્થીઓનો બે દિવસીય “સારસ્વત સ્મૃતિ મિલન” સમારોહ યોજવામાં આવ્યો હતો. ગઈકાલે શનિવારે તેમજ આજરોજ રવિવારે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય અને દેશના જુદા જુદા વિસ્તારોમાં સ્થાયી થયેલા પીઢ અહીંના પૂર્વ વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આટલું જ નહીં, આ અનોખા કાર્યક્રમમાં સંસ્થાના પૂર્વ આચાર્ય, પૂર્વ શિક્ષકો, પ્યુન તેમજ ઓફિસ સ્ટાફ પણ જોડાયા હતા જેમને ઉપસ્થિતોએ સન્માનિત કર્યા હતા. આ સમારોહ પ્રસંગે શનિવારે સાંજે ઉપસ્થિત પૂર્વ વિદ્યાર્થીઓ, પૂર્વ આચાર્ય, પૂર્વ શિક્ષકો વિગેરે સાથેના સ્નેહમિલનમાં દાયકાઓ અને વર્ષો જૂની સ્મૃતિઓ વાગોળી સૌ કોઈ ભાવવિભોર બન્યા હતા. આ સાથે રાત્રે યોજાયેલા સંગીત સંધ્યા કાર્યક્રમમાં પૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો વિગેરેએ પોતાના પ્રતિભાવો તેમજ વિગેરે આકર્ષક શૈલીમાં રજૂ કરી પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. આ સાથે નિધન થયેલા શાળામાં અભ્યાસ કરી ચૂકેલા પૂર્વ વિદ્યાર્થીઓ, પૂર્વ શિક્ષકોને યાદ કરી, સૌને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આ ઉપરાંત અહીં અલગ અલગ બેચના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પોતપોતાના ગ્રુપમાં ખાટી મીઠી યાદો તાજા કરી, સેલ્ફી તસવીરો ખેંચી હતી. આટલું જ નહીં, અહીં અગાઉ ચાલતા વર્ગોની જેમ જ વર્ગ ચાલ્યા હતા અને હાલ પીઢ બની ગયેલા આ પૂર્વ વિદ્યાર્થીઓને જે-તે સમયના આચાર્ય શ્રી જે.કે. જોશી દ્વારા ઉઠક-બેઠક કરાવી અને સોટી ઉગામીને લમધાર્યાની પ્રતિકૃતિ રૂપ કાર્યક્રમે ઉપસ્થિત વિદ્યાર્થીઓ, આચાર્યને ભાવવિભોર બનાવી દીધા હતા.
આ સાથે આજે રવિવારે પણ વિવિધ કાર્યક્રમ તેમજ સમૂહ ભોજનના વિવિધ કાર્યક્રમો બાદ સાંજે સૌ કોઈ ખાટી મીઠી યાદો સાથે વિદાય થયા હતા. આ સમગ્ર આયોજનની યાદને સૌ-કોઈએ પોતપોતાના મોબાઈલમાં કચકડે કંડારી હતી.
આ સંસ્થાના અનેક વિધાર્થીઓ હાલ પ્રથમ હરોળના ઉદ્યોગપતિ, બિઝનેસમેન, ડોક્ટર જેવા હોદ્દા પર છે, ત્યારે આ સ્નેહ મિલન સમારોહના સંભારણા સૌ કોઈ માટે યાદગાર બની રહેશે. આ તમામ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે સંસ્થાના ટ્રસ્ટીઓ, કર્મચારીઓ, શિક્ષકો તથા વિધાર્થીઓ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.





(ફોટો:- મિલન કોટેચા)