[ લગે રહો મનુભાઈ ]
લખનઉમાં યોજાયેલ ખાસ કાર્યક્રમ દરમિયાન દેશભરના કોળી સમાજના ટોચના નેતાઓની હાજરીમાં પૂર્વ કેબિનેટ મંત્રી મનુભાઈ ચાવડા કોળી સમાજના સર્વોચ્ચ નેતા બન્યા
ઉત્તર પ્રદેશના રાજ્ય મંત્રી મનોહરલાલ કોરી, ભાનુ પ્રતાપ વર્મા, સત્યનારાયણ પવાર, વિરેન્દ્ર કશ્યપ, હરીશંકર માહેર સહિતના મહાનુભાવોની હાજરીમાં સર્વાનુંમતે આ નિમણૂક
મનુભાઈ ચાવડાની નિમણૂક બેઠક અને સમારોહમાં ગુજરાતના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, એડવોકેટ કિશોરભાઈ શેખ સહિતના કોળી અગ્રણીઓની હાજરી
કોળી સમાજને જાગૃત કરવા માટે હું 42 વર્ષથી અખિલ ભારતીય કોળી સમાજમાં કામ કરું છું અને તે માટે ગુજરાતના ગામડે ગામડે જઈને સંગઠન મજબૂત બનાવ્યું છે: મનુભાઈ ચાવડા
ઓશન બારૈયા, લખનૌ
લખનઉ ખાતે યોજાયેલ અખિલ ભારતીય કોળી સમાજ દિલ્હી (રજીસ્ટર્ડ) દ્વારા યોજાયેલ એક સમારોહમાં ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને કોળી સમાજના દિગ્ગજ નેતા મનુભાઈ ચાવડાને અખિલ ભારતીય કોળી સમાજના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા છે. સમગ્ર દેશના કોળી મહાનુભાવોની હાજરીમાં આ નિમણૂક કરવામાં આવી હતી. આ પ્રસંગે અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એવા હીરાભાઈ સોલંકી તથા અખીલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ખજાનચી એડવોકેટ કિશોરભાઈ શેખ પણ હાજર રહ્યા હતા.
આ અંગે કોળી સમાજ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર એબીકેએસની રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠક ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે લાલ બહાદુર શાસ્ત્રી ગન્ના સંસ્થાન, બટલર માર્ગ ખાતે યોજાતાં તેમાં ઉત્તર પ્રદેશના રાજ્ય મંત્રી મનોહરલાલ કોરી, ભાનુ પ્રતાપ વર્મા, સત્યનારાયણ પવાર, વિરેન્દ્ર કશ્યપ, હરીશંકર માહેર સહિતના મહાનુભાવોની હાજરીમાં સર્વાનુંમતે આ નિમણૂક કરવામાં આવી હતી. સમગ્ર ભારતના કોળી સમાજનું સર્વોચ્ચ પદ ગુજરાતના એક અગ્રણી નેતાને આપવામાં આવ્યું છે ત્યારે તેમને ચો તરફથી અભિનંદન પ્રાપ્ત થઈ રહ્યા છે.
ધ ગ્રેટ વર્લ્ડ સાથેની વાતચીતમાં નવનિયુક્ત એ બી કે એસ અધ્યક્ષ મનુભાઈ ચાવડાએ જણાવ્યું કે દેશભરના કોળી સમાજના વિવિધ પ્રશ્નોના ઉકેલ અને વિકાસ માટે છેલ્લા 60 વર્ષથી અભિયાન ચલાવી રહેલ અખિલ ભારતીય કોળી સમાજ સંસ્થામાં હું છેલ્લા 42 વર્ષથી જોડાયેલો છું અને અખિલ ભારતીય કોળી સમાજમાં યુવાનોને જોડવા માટે અને સમાજમાં જાગૃતિ લાવવા માટે ગુજરાતના ગામડે ગામડે જઈને કોળી સમાજનું સંગઠન મજબૂત બનાવ્યું છે. સમાજ માટે મેં જે કંઈ કર્યું છે તે એકદમ નિસ્વાર્થ ભાવે કર્યું છે. સમાજ માટે કંઈક કરી છૂટવાની મારી ભાવના અને આટલા વર્ષો સુધી કરેલી સેવા ને ધ્યાનમાં લઈને અખિલ ભારતીય કોળી સમાજના અગ્રણી નેતાઓએ લખનઉ ખાતેના કાર્યક્રમમાં મારી નિમણૂક કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કરી છે ત્યારે આ સંસ્થાના એજન્ડા પ્રમાણે હું કામ કરીશ અને કોળી સમાજના નહીં ઉકેલાયેલા પ્રશ્નોના ઉકેલ માટે સતત કામ કરતો રહીશ અને જ્યાં લડવાની જરૂર પડે ત્યાં લડતો રહીશ.
Box:
એબીકેએસ તરફથી દેશને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જેવી હસ્તીઓ પણ મળી છે
અખિલ ભારતીય કોળી સમાજ એ સમગ્ર ભારતના કોળી સમાજને જોડતી એકમાત્ર સૌથી મોટી સંસ્થા છે. આ સંસ્થાએ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઈને દેશના અનેક મહત્વના સ્થાનો સ્વભાવનાર હસ્તીઓ આપી છે. અખિલ ભારતીય કોળી સમાજના પ્રયત્નોથી હાલના સમયમાં દેશના વિકાસમાં કોળી સમાજનું પ્રદાન ખૂબ જ વધ્યું છે અને તે વધતું જ રહે અને દેશનો વિકાસ થતો રહે તે માટેના અમારા સતત પ્રયત્નો છે.
- મનુભાઈ ચાવડા, રાષ્ટ્રીય અધ્યક્ષ, એબીકેએસ







