
ઉચ્ચારણમાં જે સ્વર ઓછો સમય લે તે લઘુ અને જે વધુ સમય લે તે ગુરુ એવી સાદી સમજ છે
જે સ્વર બે માત્રા કરતાં વધુ અથવા બે સ્વરોના જોડાણથી આવે એને પ્લુત કહેવાય છે; પ્લુતનું કાલમાન ગુરુ સ્વરની તુલનાએ વધુ હોય છે
સંસ્કૃતમાં ઉચ્ચારતા ‘ૠ’ ‘ૡ’ ના સાચાં ઉચ્ચારણો આપણને આવડતાં નથી, પણ નવા પ્રવેશેલા વિવૃત્ત ‘ઍ’ ‘ઑ’ નાં ઉચ્ચારો આપણે સરળતાપૂર્વક કરીએ છીએ
ડૉ. જયંત કોઠારી ‘અ’,‘આ’, ‘ઇ’, ‘ઉ,’ ‘એ’, ‘ઓ’, અને વિવૃત્ત ‘ઍ’ ‘ઑ’ એમ આઠ સ્વર ગણાવે છે. એમના માટે ‘આ’ સ્વતંત્ર સ્વર છે

પ્રા. પ્રવીણ સલિયા1
ભાષાનું મૂળ તત્ત્વ ધ્વનિ છે. આ ધ્વનિઓ અર્થ આપે છે, (એ અર્થ આરોપિત છે.) અર્થ ભાષાનું તથ્ય છે. ધ્વનિઓનો બીજો સમુદાય એ સ્વર છે. વ્યંજન સાથે સ્વર જોડાય ત્યારે પૂર્ણ અક્ષર બને છે એ ઘટના થોડી અનુભવીએ. તમે ક્અઅઅઅ અથવા ક્આઆઆઆ એવો ઉચ્ચાર કરો અને સાંભળો કે ‘ક્’ના ઉચ્ચાર પછી ક્યારે ‘અ’ કે ‘આ’ના ઉચ્ચારો ચાલુ થાય છે? તમે એકલા ‘ક્’ના ઉચ્ચારને ‘અ’-‘આ’ની જેમ લાંબા સમય સુધી ઉચ્ચારી શકો છે? તમે એ નક્કી કરી શકો છો કે ‘ક્’ના ઉચ્ચારણમાં કેટલો સમય લાગ્યો? જેવી રીતે ‘અ’-‘આ ઉચ્ચારી શકાય છે એવી રીતે ‘ક્’નું ઉચ્ચારણ કરવામાં શું મુશ્કેલી પડે છે, એનું અવલોકન કરો. હવે તમને સ્વર અને વ્યંજન વચ્ચેનો ભેદ સમજાશે.સ્વરના ટેકા વગર વ્યંજન ઉચ્ચારી શકાતો નથી. (જોડાક્ષરોમાં વ્યંજનને વ્યંજનનો ટેકો હોય છે. અંત્ય વ્યંજન હોય ત્યાં પ્રયત્નપૂર્વક ઉચ્ચારાય છે.) ઉચ્ચારણ ની બાબતમાં સ્વરો આત્મ નિર્ભર છે, એને બીજા કોઈ ટેકાની જરૂર નથી. સ્વરોનું કાલમાપ મેળવી શકાય છે, વ્યંજનનું નહિ. સ્વરોમાં છાંદસ તત્ત્વો છે, તેથી છંદોમાં સ્વરના માપની ગણતરી લક્ષ્યમાં લેવામાં આવે છે. વ્યંજનની નહિ. ઉચ્ચારણમાં જે સ્વર ઓછો સમય લે તે લઘુ અને જે વધુ સમય લે તે ગુરુ એવી સાદી સમજ છે. જે સ્વર બે માત્રા કરતાં વધુ અથવા બે સ્વરોના જોડાણથી આવે એને પ્લુત કહેવાય છે.પ્લુતનું કાલમાન ગુરુ સ્વરની તુલનાએ વધુ હોય છે. સ્વરો ઉચ્ચારણની બાબતે આત્મનિર્ભર છે. સ્વરમાં પણ પરિવર્તનો આવે છે. લાંબા અંતરાલ પછી કોઈ કોઈ સ્વર ઉચ્ચારાતા બંધ થાય છે. નવાં આવે છે. સંસ્કૃતમાં ઉચ્ચારતા ‘ૠ’ ‘ૡ’ ના સાચાં ઉચ્ચારણો આપણને આવડતાં નથી, પણ નવા પ્રવેશેલા વિવૃત્ત ‘ઍ’ ‘ઑ’ નાં ઉચ્ચારો આપણે સરળતાપૂર્વક કરીએ છીએ. બારાક્ષરીમાં જે બાર અક્ષરો આવે છે એને આપણે સ્વર માનીએ છીએ પણ એ સાચું નથી. કેમકે અં અ: સ્વરો નથી. ગુજરાતી ભાષાના સ્વરોની સંખ્યા બાબતે વિદ્વાનોમાં મતમતાંતર છે. ડૉ. જયંત કોઠારી ‘અ’,‘આ’, ‘ઇ’, ‘ઉ,’ ‘એ’, ‘ઓ’, અને વિવૃત્ત ‘ઍ’ ‘ઑ’ એમ આઠ સ્વર ગણાવે છે. એમના માટે ‘આ’ સ્વતંત્ર સ્વર છે. ઇ+ઇ મળીને ‘ઈ’, ઉ+ઉ મળીને ‘ઊ’, એ+એ મળીને ‘ઐ’ અને ઓ+ઓ મળીને ‘ઔ’ થાય છે એટલે ‘ઈ’, ‘ઊ’, ‘ઐ’, અને ‘ઔ’ સ્વતન્ત્ર સ્વર નથી. વિવૃત્ત ‘ઍ’ ‘ઑ’ બારાક્ષરીમાં ભણાવતા નથી, એટલે એનો અર્થ એ નથી કે બોલાતા નથી. અંગ્રેજી ભાષાના આગમન પૂર્વે પણ આ સ્વરો બોલાતા હતા.જે સ્વર બોલાતી વખતે હોઠનો આકાર ગોળાકાર બની જાય તે સ્વર વિવૃત્ત કહેવાય.બાકીના સંવૃત કહેવાય. હોઠના આકાર પરથી આ ભેદ સમજાય છે એટલે તેનાં એવી રીતે નામ પાડવામ આવ્યા છે. તમે ગોળ(વર્તુળ)-ગૉળ(ખાવાનો ગળ્યો પદાર્થ), કોળી(કોળી જ્ઞાતિ)-કૉળી(મુઠ્ઠીમાંસમાય એટલો ઘાસનો જથ્થો) કેરી(ની)-કૅરી(આમ્રફળ) વગેરે. આવાં બીજાં ઉદાહરણો શોધી બોલવાનો પ્રયત્ન કરી જુઓ મજા આવશે.