
– આરાધના ધામ ખાતે સાયકલિસ્ટોનું સ્વાગત કરાયું –
જામ ખંભાળિયા, તા. ૧૧- ૦૩-૨૦૨૫
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ સી.આઈ.એસ.એફ.ના 56 મા સ્થાપના દિન અંતર્ગત ‘સુરક્ષિત તટ, સુરક્ષિત ભારત’ના સૂત્ર સાથે સાયકલ રેલી યોજાઈ રહી છે. આ રેલી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાના આરાધના ધામ ખાતે આવી પહોંચતા ગ્રામજનો અને આગેવાનો દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાત્રિ રોકાણ બાદ સવારે મહાનુભાવો દ્વારા રેલીને આરાધના ધામ ખાતેથી દ્વારકા માટે ફ્લેગ ઓફ કરાવવામાં આવી હતી. આ રેલી તા. 11 માર્ચના રોજ વડત્રા, લીંબડી, ચરકલા થઈને તા. 12 માર્ચ સવારે 9 વાગ્યે દ્વારકા સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચશે. આ સાયકલ રેલીને જિલ્લામાં વિવિધ સ્થળે વધાવવા તેમજ પ્રસ્થાન અને સાયકલિસ્ટો માટીની અન્ય વ્યવસ્થાઓ માટે વાડીનાર સી.આઈ.એસ.એફ. યુનિટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડેપ્યુટી કમાન્ડન્ટ વી.એસ. પ્રતિહાર, અર્ચિત ખેતાન, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ હરિઓમ ગૌતમ, પ્રશાંત ચવાણ, રામ મૂર્તિ કોંડલ, સાઈ નિક એ જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમમાં પ્રાંત અધિકારી કે.કે. કરમટા, મામલતદાર વિક્રમ વરુ, સ્થાનિક આગેવાનો, ગ્રામજનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
14 મહિલાઓ સહિત કુલ 125 સી.આઈ.એસ.એફ.ના જવાનો 25 દિવસની આ યાત્રા દ્વારા સી.આઈ.એસ.એફ.ની સમુદ્ર કાંઠાની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ભારતની આર્થિક સમૃદ્ધિ માટે તેઓની મહત્વની ભૂમિકાને પ્રદર્શિત કરશે.

(ફોટો:- કુંજન રાડિયા)