
– સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક પાણીમાં કૂદીને ડૂબતા યુવાનોને બચાવ્યા –
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૨૫
યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં યાત્રાળુ ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા હોય છે. ત્યારે પવિત્ર ગોમતી નદીમાં સ્નાન પણ કરતા હોય છે. પરંતુ ગોમતી નદી દરિયા સાથે સંકળાયેલ હોય, ગોમતી નદી અંદર દરિયાનો પાણીનો પ્રવાહ ખૂબ તેજ હોય છે. જે પ્રત્યે બહારગામથી આવતા યાત્રાળુઓ અજાણ હોવાથી તે જ્યારે ગોમતી નદીમાં નાહવા પડે છે, ત્યારે તેમને નદીના વહેણનો ખ્યાલ ન હોવાથી અનેક વખત ગોમતી નદીમાં બહારગામથી આવતા યાત્રાળુઓ ડૂબવાના બનાવો બનતા હોય છે.
આવો જ એક બનાવ આજરોજ બપોરના સમયે બન્યો હતો. ભાવનગરથી દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરવા આવેલ બે યુવાનો દર્શન કર્યા બાદ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરવા ઉતર્યા હતા અને પાણી અંદર જતા જ નદીના ઊંડા પાણીમાં ખેંચાઈ જતા, બંને યુવાનો ડૂબવા લાગ્યા હતા. નદીના કાંઠે ઊભેલા સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક ધોરણે પાણીમાં કૂદીને આ બન્ને ડૂબતા યુવાનોને બચાવ્યા હતા. અને દ્વારકાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ બંને યુવાનોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

(ફોટો:- કુંજન રાડિયા)