
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૫
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ તથા દ્વારકા નગરપાલિકાની આવતીકાલે રવિવારે યોજાયેલી ચૂંટણી માટેના મતદાન સંદર્ભે આજે શનિવારે કતલની રાતની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ તમામ વિસ્તારમાં રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા રાત્રી જાગરણ કરીને પણ મતદારોને મનાવવા તથા આકર્ષવા માટેના પ્રયત્નો શરૂ થઈ ગયા છે.
દ્વારકાની કુલ 28 પૈકી 9 બેઠકો ભાજપ તરફે બીનહરીફ થઈ છે. જ્યારે બાકીની 19 બેઠકો પર ચૂંટણીઓ યોજાનાર છે. અહીં સતત 30 વર્ષના શાસન પછી ફરી એક વખત ભાજપ સત્તા ગ્રહણ કરશે. કારણ કે સ્પર્ધક પક્ષો કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીને પૂરતા ઉમેદવારો પણ મળ્યા નથી. જ્યારે ભાણવડમાં પણ આપ અને કોંગ્રેસ સમજુતી કરવા જતા અહીં ભાજપને 8 બિનહરીફ બેઠકનો મોટો ફાયદો થયો છે. અહીં પણ ભાજપ 16 બેઠકોની ચૂંટણીઓમાં લડી રહ્યો છે. તેમાંથી સંભવિત રીતે 10 થી વધુ બેઠકો મેળવીને ફરીથી સત્તાગ્રહણ કરશે. ગત ટર્મમાં પણ ભાજપ જ સત્તા પર રહ્યું હતું. ત્યાર બાદ ભાજપના કેટલાક સભ્યો કોંગ્રેસમાં ભળી જતા ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ સત્તા પર આવી હતી. હાલની પરિસ્થિતિમાં ભાજપ સત્તાના સૂત્રો સંભાળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.
ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં ગત ટર્મમાં પણ કોંગ્રેસનું શાસન રહ્યું હતું. આ વખતે અહીં ભાજપના 28 માંથી 14 સ્થળોએ જ ઉમેદવારો લડી રહ્યા છે. તો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને એ.આઈ.એમ.એ.આઈ. પણ ચૂંટણી લડે છે. તમામ બેઠકો પર કોંગ્રેસનું પલડું ભારે છે. પણ આપના હોદ્દેદારોના રાજીનામાં તેમજ એક મજબૂત ઉમેદવારને તાજેતરમાં જ થયેલો જેલવાસ આ ચૂંટણીમાં નડશે. તો પ્રથમ વખત લડતો પક્ષ એ.આઈ.એમ.એ.આઈ. કોને ફાયદો કે નુકસાન કરાવશે તેના પર પણ લોકોની નજર છે.
____________________________________________________________________________