રૂ. 73.25 કરોડની કિંમતની 1.28 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૮-૦૧-૨૦૨૫
દેશના પશ્ચિમના છેવાડાના તથા અતિ પવિત્ર અને પ્રાચીન એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં વધી ગયેલા અનઅધિકૃત અતિક્રમણ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા લાલ આંખ કરી અને આવા ગેરકાયદેસર દબાણો ધ્વસ્ત કરવા સ્થાનિક તંત્રને આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષીને ગત તારીખ 11 જાન્યુઆરીથી ઓખા મંડળમાં શરૂ થયેલું આ ઓપરેશન આજે આઠમા દિવસે મહદ અંશે પૂર્ણ થયું છે. જાહેર કરવામાં આવેલી વિગત મુજબ આઠ દિવસના સમયગાળામાં નાના-મોટા કુલ 525 દબાણો દૂર કરી અને 1.28 લાખ ચોરસ મીટર સરકારી જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે.
આજરોજ શનિવારે દ્વારકા પ્રાંત અધિકારીના વડપણ હેઠળ હાથ ધરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશમાં સવારે દ્વારકાના ખારા તળાવ વિસ્તારમાં એક દરગાહ દ્વારા સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. દ્વારકાના સનસેટ પોઇન્ટ વિસ્તારના સુન્ની મુસ્લિમ આમ જમાત ઈદગાહ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યાર બાદ મીઠાપુર નજીક આવેલા આરંભડા સ્થિત અન્ય એક ધર્મ સ્થળ સહિતની જગ્યાઓ પણ ખુલ્લી કરાવાઈ હતી.
- આઠ દિવસમાં રૂ. 73.25 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ – દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી ડિમોલિશન અંગેની કાર્યવાહી સંદર્ભે દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટેએ વિગતો આપતા જણાવ્યું છે કે તા. 23 ડિસેમ્બરથી દ્વારકા વિસ્તારમાં અનધિકૃત દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. જે ત્રણ તબક્કામાં આજે પૂર્ણ થઈ છે. આ કામગીરીમાં દ્વારકા નગરપાલિકા, ઓખા નગરપાલિકા તેમજ જિલ્લા પ્રશાસનનો 110 કર્મચારીઓનો સ્ટાફ તેમજ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય અને તેમની ટીમ સાથે 1000 જેટલા પોલીસ તંત્રના જવાનોએ સુરક્ષા વ્યવસ્થા જાળવી હતી. જેના પરિણામે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો અને તમામ કામગીરી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે.
આઠ દિવસના આ સમયગાળામાં વિવિધ રહેણાંક મકાનો, કોમર્શિયલ તેમજ ધાર્મિક સહિત 525 દબાણ હટાવવામાં આવ્યા છે જેના પરિણામે કુલ રૂપિયા 73.25 કરોડની બજાર કિંમત ધરાવતી કુલ 1,27,917 ચોરસ મીટર સરકારી-ગૌચરની જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.
(ફોટો:- કુંજન રાડિયા)






