ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પુલવામા હુમલામાં શહીદ થયેલા આપણા વીર જવાનોની પાવન સ્મૃતિમાં આજ રોજ 14 ફેબ્રુઆરીએ ખીજડી પ્લોટ ગાર્ડન, પોરબંદર ખાતે સાંજે 7:00 વાગ્યે ભાવભીની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસને બ્લેક ડે તરીકે યાદ કરતાં દેશ માટે પોતાના પ્રાણ અર્પણ કરનાર શહીદોને કૃતજ્ઞતા અને શ્રદ્ધા સાથે નમન કરવામાં આવ્યું.
કાર્યક્રમ દરમિયાન શહીદોની સ્મૃતિમાં કેન્ડલ પ્રગટાવીને અને પુષ્પાંજલિ અર્પણ કરીને સૌએ બે મિનિટનું મૌન પાળી શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી. કાર્યક્રમમાં માજી સૈનિક સંગઠન પોરબંદરના સભ્યો તેમજ પોરબંદરના દેશપ્રેમી યુવા મિત્રો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને શહીદોના બલિદાનને યાદ કરીને દેશભક્તિનો સંદેશ આપ્યો.
આ પ્રસંગે ઉપસ્થિત સૌએ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે હંમેશા સજ્જ રહેવાની પ્રતિજ્ઞા લીધી અને શહીદોના બલિદાનને ક્યારેય ન ભૂલવાની ભાવના વ્યક્ત કરી હતી, તેમ યુવા ભાજપ અગ્રણી અને સ્વાવલંબી ભારત અભિયાનના લીલા મોઢવાડિયાએ જણાવ્યું હતું.
પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનોને પોરબંદરમાં શ્રદ્ધાંજલિ અપાઈ
