
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૫
ભાણવડ પંથકમાં છેલ્લા પંદરેક વર્ષોથી અબોલ જીવોની સેવા માટે કાર્યરત એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ગરમીની ઋતુમાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીઘરનું વિતરણ કરવામાં આવે છે.
હાલ ગરમી અને તડકા પડવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે ગઈકાલે મંગળવારે ભાણવડમાં શિવ બળદ આશ્રમ ખાતે કુંડા અને ચકલીઘરના વિતરણનું આયોજન કરાયું હતું.
જેમાં 3000 જેટલા ચકલીઘર અને 1500 જેટલા માટીના પાણી માટેના કુંડાનું દાતાઓની આર્થિક સહયોગથી વિતરણ કરાયું હતું. જેમાં સોશિયલ મીડિયાના કારણે પંથકના મોટા ભાગના ગામોના લોકોએ ચકલીઘર અને કુંડાનો લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં ભાણવડ પી.એસ.આઈ. કે. કે. મારુ, જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંદીપભાઈ ખેતિયા, તાલુકા હોમગાર્ડ કમાન્ડન્ટ, નવલસિંહ, પોલીસકર્મી અને હોમગાર્ડ જવાનો તેમજ બ્રહ્મ સમાજ અગ્રણી ડૉ. રમેશચંદ્ર ભટ્ટ, પ્રકાશભાઈ પંડ્યા સાથે વન વિભાગના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ અને શિવ બળદ આશ્રમના તમામ સભ્યોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. આ તકે એનિમલ લવર્સના પ્રમુખ અશોકભાઈ ભટ્ટ દ્વારા જાહેર જનતાને ઉનાળાની ગરમી દરમ્યાન નિર્દોષ પક્ષીઓ માટે પોતાના ઘરોની આસપાસ પાણી અને ચણની વ્યવસ્થાના માનવતાવાદી કાર્ય માટે પણ અપીલ કરાઈ હતી.







(ફોટો:- કુંજન રાડિયા)